08 May, 2026 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાયધુનીમાં રહેતો ડોકાડિયા પરિવાર
૧૧ દિવસ પછી આવેલા રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે ચારેય જણના શરીર ઉપરાંત તરબૂચ પર પણ ઝિન્ક ફૉસ્ફાઇડ મળી આવ્યું
પાયધુનીમાં રહેતા ડોકાડિયા પરિવારે પચીસ એપ્રિલે રાતે તરબૂચ ખાધા પછી પરિવારના ચારેચાર સભ્યોનાં થયેલાં શંકાસ્પદ મૃત્યુના કેસમાં અત્યાર સુધીની સૌથી મોટી માહિતી જાણવા મળી છે. ઉંદર મારવાના ઝેરથી ચારેચાર જણનાં મોત થયાં હોવાની ચોંકાવનારી માહિતીએ મોટો ખળભળાટ મચાવ્યો છે. ચારેયના શરીરમાં તેમ જ તરબૂચના નમૂનાઓમાં ઉંદર મારવાના ઝેર તરીકે વપરાતું કેમિકલ ઝિન્ક ફૉસ્ફાઇડ મળી આવ્યું છે.
કાલિના ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (FSL)ના ડિરેક્ટર ડૉ. વિજય ઠાકરેની આગેવાની હેઠળ કાલિના FSLના નિષ્ણાતો દિવસ-રાત કેસ ઉકેલવામાં રોકાયેલા હતા. શરીરમાંથી ઘણું ઝેર ઊલટી દ્વારા બહાર નીકળી ગયું હોવાથી શરીરમાંથી ઝેરના નમૂના શોધવા મુશ્કેલ હતા. આખરે કાલિના FSLના નિષ્ણાતોના પ્રયાસ સફળ રહ્યા છે.
હવે સ્પષ્ટ છે કે ચારેય જણનાં મૃત્યુ ઉંદર મારવા માટે વપરાતી દવા ઝિન્ક ફૉસ્ફાઇડથી થયાં હતાં. ચારેય જણના શરીરમાં તેમ જ તરબૂચ પર ઝિન્ક ફૉસ્ફાઇડ મળી આવ્યું હતું. જોકે એ હજી સ્પષ્ટ નથી કે ઉંદર મારવાનું ઝેર આકસ્મિક રીતે કે જાણીજોઈને પિવાયું હતું. જે. જે. માર્ગ પોલીસ-સ્ટેશન દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે જેમાં સગાંસંબંધીઓ અને પાડોશીઓનાં નિવેદન નોંધવામાં આવ્યાં છે.