22 July, 2026 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસી હેડક્વૉર્ટર
મનોરી ખાતે આવેલા શહેરના પહેલા પાણીના ડીસૅલિનેશન પ્લાન્ટમાંથી ફિલ્ટર કરેલા દરિયાના પાણીને મુંબઈના હાલના વૉટર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક સાથે ૭.૨ કિલોમીટરની અન્ડરગ્રાઉન્ડ ટનલ દ્વારા BMC ચારકોપ અને આગળ કાંદિવલીમાં મહાવીરનગર સુધી પહોંચાડવાની યોજના ધરાવે છે.
ઍફકૉન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને એની ડિઝાઇન, બાંધકામ અને કામગીરી તેમ જ એને રિલેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ માટે ૨૨૪૧.૩ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ આપવા માટે મંજૂરી માગતી દરખાસ્ત આજે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની સ્ટૅન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે. મનોરી ખાતે ૪૦૭૭ કરોડ રૂપિયાના ડીસૅલિનેશન પ્રોજેક્ટના અંદાજિત ખર્ચના અડધાથી વધુ હિસ્સો તો એકલી પાણીની આ ટનલનો હશે.
મંજૂરી મળતાં જ BMC આવતા મહિને બાંધકામ શરૂ કરે એવી શક્યતા છે અને ૪૫ મહિનાની ટાઇમ-લિમિટમાં એ ટનલ બાંધી દેવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
પ્રસ્તાવિત ટનલ મનોરીથી ચારકોપ ખાતેના મહારાષ્ટ્ર નેચર પાર્ક સુધી ૪.૬ કિલોમીટર અને મહાવીરનગર સુધી ૨.૬ કિલોમીટર લાંબી હશે. મનોરી અને મહાવીરનગરથી એકસાથે કાર્યરત બે ટનલ બોરિંગ મશીનોનો ઉપયોગ કરીને એને ૧૦૪-૧૨૮ મીટરની ઊંડાઈએ ખોદવામાં આવશે.
પમ્પિંગ-સ્ટેશન ૪૦૦ મિલ્યન લીટર પર ડે (MLD)ને હૅન્ડલ કરવા સક્ષમ હશે. જોકે પહેલા તબક્કા માટે ટેક્નિકલ અને ઇલેક્ટ્રિક સિસ્ટમ શરૂઆતમાં ૨૦૦ MLD માટે ઊભી કરવામાં આવશે.
હાલમાં મનોરીની આસપાસ ખૂબ જ ઓછી માત્રામાં પાણીની જરૂર છે. તેથી મોટા ભાગના ડીસૅલિનેટેડ પાણીને હાલના નેટવર્ક દ્વારા પશ્ચિમનાં ઉપનગરોમાં પહોંચાડવામાં આવશે.
મુંબઈની વર્તમાન દૈનિક પાણીની ડિમાન્ડ લગભગ ૪૬૦૦ MLD છે, જ્યારે ઉપલબ્ધ પુરવઠો લગભગ ૪૧૦૦ MLD છે. ડીસૅલિનેશન પ્રોજેક્ટ આ અંતરને દૂર કરવા મદદ કરશે.
મુંબઈના કૅચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પીવાના પાણીના સ્ટૉકમાં મોટો વધારો થયો છે. મંગળવારે સવારે મુંબઈને પાણી પૂરું પાડતાં ૭ તળાવોમાં પાણીનો જથ્થો અેમની કુલ કૅપેસિટીના ૫૭.૭૫ ટકા સુધી વધી ગયો હતો. મુંબઈ અને થાણેમાં ગઈ કાલે ઑરેન્જ અલર્ટ છતાં હળવો વરસાદ જ નોંધાયો હતો. આજે મુંબઈમાં ૫૦થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને અમુક ઠેકાણે ભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે થાણે, પાલઘર, રાયગડમાં આજે ભારે વરસાદની શક્યતા સાથે ઑરેન્જ અલર્ટ આપવામાં આવી છે.