08 September, 2026 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મહેતા
થાણેના વર્તકનગરમાં દહીહંડીના કાર્યક્રમ દરમ્યાન ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે સંજય દત્તને મરાઠીમાં બોલવા કહ્યું ત્યારે સંજય દત્તે જવાબ આપ્યો કે ‘પ્રતાપભાઈ, મૈં છે સાલ રહા યેરવડા મેં, તબ ભી મરાઠી નહીં સીખ પાયા.’ સંજય દત્તે એમ કહીને રમૂજ કરી અને પ્રતાપ સરનાઈક પણ તેની આ વાત પર હસતા મોંએ ઊભા રહ્યા. ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના મીરા-ભાઈંદરના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ તેમના પર નિશાન તાક્યું છે.
નરેન્દ્ર મહેતાએ પ્રતાપ સરનાઈકના આવા વર્તન સામે પ્રશ્ન ઉઠાવતાં કહ્યું હતું કે ‘પોતાના કાર્યક્રમમાં બૉલીવુડનો એક ઍક્ટર એમ કહે છે કે તેને મરાઠી આવડતું નથી. મારો મુદ્દો એ નથી કે તેને મરાઠી નથી આવડતું, પણ પ્રતાપ સરનાઈક ત્યાં તેને જોઈને હસતા હતા. બીજી બાજુ સામાન્ય કુટુંબનો એક રિક્ષાવાળો જો આવું બોલે તો તેમનો શ્વાસ ચડી જાય છે. જ્યારે તમારા કાર્યક્રમમાં કોઈ વ્યક્તિ આવું બોલે છે તો તમે તેને ટપારતા પણ નથી અને બીજાને તમે ધમકાવો છો એ યોગ્ય નથી, એ બરાબર નથી. એટલે કે તમારી કથની અને કરણીમાં ફરક છે. એટલે જ શિંદેસાહેબે તમને ક્યારેય કંઈ કરવા દીધું નથી અને કરવા દેશે પણ નહીં. ક્યારેક ડમી પ્રધાનો જોઈતા હોય છે એટલે તમને રાખ્યા છે.’