29 April, 2026 11:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિદ્યાર્થિનીના ઘરને આગ ચાંપી દેવાઈ હતી
થાણેના વાગળે એસ્ટેટમાં આવેલા અંબિકાનગરમાં રવિવારે એક ચોંકાવનારી ઘટના બની હતી જેમાં લગ્ન માટે ઇનકાર કરતાં ગુસ્સે ભરાયેલા યુવકે ૨૦ વર્ષની વિદ્યાર્થિનીના ઘરને આગ ચાંપી દીધી હતી. આ મામલે વાગળે એસ્ટેટ પોલીસે ૨૫ વર્ષના યશ જાધવ સહિત તેના પરિવારની ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે. યુવતીએ વાતચીત બંધ કરી દેતાં ઉશ્કેરાયેલા આરોપીએ શરૂઆતમાં યુવતીના ઘરની નીચે આવીને ગાળો ભાંડી હતી અને ત્યાર બાદ ઘરના દરવાજા પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. જોકે આસપાસના લોકોએ તાત્કાલિક ભેગા થઈને આગ બુઝાવી દીધી હતી. ફરિયાદીના પરિવારજનો મૂળ ઉત્તર પ્રદેશના હોવાથી આ ઘટના બાદ ગભરાઈને મુંબઈ છોડીને પોતાના વતન ચાલી ગયા છે.
વિદ્યાર્થિનીના પપ્પાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યશ છેલ્લા કેટલાક સમયથી મારી દીકરીને પરેશાન કરી રહ્યો હતો. યશ લગ્ન માટે મારી દીકરી પર જાન્યુઆરીથી દબાણ કરી રહ્યો હતો અને સતત તેનો પીછો કરતો હતો. મારી દીકરીએ તેને અનેક વાર સ્પષ્ટપણે ઇનકાર કર્યો હોવા છતાં તે સતત હેરાન કરતો રહ્યો. રવિવારે સાંજે યશ તેની મમ્મી મીના, બહેન મયૂરી અને ફઈ સોનલ સાથે મારા ઘર નીચે આવ્યો હતો. તેણે મારી દીકરીને નીચે બોલાવીને ‘તૂને મુઝે શાદી કો ક્યું ના બોલા’ કહીને ગાળો બોલવા માંડ્યો અને તેને મારવા માંડ્યો હતો. મારી સામે મારી દીકરીની મારઝૂડ થતી હોવાથી તેને છોડાવવા માટે હું વચ્ચે પડ્યો તો યશ અને તેની સાથે રહેલા લોકોએ મને પણ માર્યો હતો એટલું જ નહીં, એ પછી યશે પેટ્રોલની બૉટલ મારા ઘરના દરવાજા પર છાંટીને આગ લગાડી દીધી હતી. આ ઘટનામાં મારા પરિવારજનોને પણ એ લોકોએ ખૂબ માર માર્યો છે. આ ઘટના બાદ અમે મુંબઈ છોડીને પાછા ઉત્તર પ્રદેશ આવી ગયા છીએ.’
વાગળે એસ્ટેટ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં અમે મુખ્ય આરોપી સહિત તેના પરિવારની ત્રણ મહિલાની ધરપકડ કરી છે. આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’