શેરબજારના નુકસાનનો બદલો લેવા 41 વર્ષીય વ્યક્તિને માર મારી રૂ. 47 લાખ પડાવ્યા

04 June, 2026 04:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Thane Crime: મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં એક 41 વર્ષીય વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે ચાર લોકોએ શેરબજારમાં થયેલા નુકસાન માટે તેને જવાબદાર ઠેરવી તેની સાથે મારપીટ કરી હતી અને દબાણ હેઠળ તેની પાસેથી કુલ રૂ. 47.25 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં એક 41 વર્ષીય વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે ચાર લોકોએ શેરબજારમાં થયેલા નુકસાન માટે તેને જવાબદાર ઠેરવી તેની સાથે મારપીટ કરી હતી અને દબાણ હેઠળ તેની પાસેથી કુલ રૂ. 47.25 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. પોલીસે ગુરુવારે આ અંગે માહિતી આપી હતી.

કલ્યાણ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મારુતિ અંડાલેએ જણાવ્યું કે આરોપીઓ મધ્યસ્થી તરીકે કામ કરતા હતા. તેઓ રોકાણકારો પાસેથી પૈસા લઈને ફરિયાદી વિનાયકકુમાર રઘુનાથ સિંહ મારફતે શેરબજારમાં રોકાણ કરતા હતા. જાન્યુઆરી 2024થી એપ્રિલ 2026 દરમિયાન રોકાણકારોને થયેલા નુકસાન માટે આરોપીઓએ સિંહને જવાબદાર ગણાવ્યો હતો.

ફરિયાદ અનુસાર, આરોપીઓએ સિંહને કલ્યાણ સ્થિત તેના ઘરેથી બળજબરીપૂર્વક મુંબઈના બાંદ્રા વિસ્તારમાં લઈ ગયા હતા. ત્યાં તેની સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેના ફ્લેટને ગીરો મૂકવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આરોપીઓએ સિંહ તથા તેના ક્લાયન્ટ્સ સાથે જોડાયેલા બેંક ખાતાઓમાંથી કુલ રૂ. 47.25 લાખ ટ્રાન્સફર કરાવવા માટે પણ તેને મજબૂર કર્યો હતો.

આરોપીઓએ પોતાના ક્લાયન્ટ્સના રોકાણ સિંહ મારફતે કેમ કરાવ્યા હતા તે હજી સ્પષ્ટ થયું નથી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ અપહરણ, છેતરપિંડી, ઇજા પહોંચાડવી, ધમકી આપવી સહિતની કલમો તેમજ IT Act હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

ઠાણેમાં 4 વર્ષના બાળકની હત્યા, માતાના પ્રેમીની ધરપકડ

ઠાણે જિલ્લામાં જ એક અન્ય ચોંકાવનારી ઘટનામાં ચાર વર્ષના બાળકને તેની માતાના પ્રેમીએ માર મારીને મોતને ઘાટ ઉતાર્યાનો આરોપ છે. પોલીસે આ કેસમાં આરોપી શંભુ શર્માની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, બાળકની માતા શંભુ શર્મા સાથે રહેતી હતી. આરોપીએ ઘરે બાળકની નિર્દયતાપૂર્વક પિટાઈ કરી હતી, જેના કારણે તેનું મોત થયું હતું. શરૂઆતમાં બાળકનું મોત કુદરતી હોવાનું દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પરંતુ પંચનામા દરમિયાન પોલીસને બાળકના શરીર પર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે ગંભીર આંતરિક ઇજાઓના કારણે બાળકનું મોત થયું હતું.

તપાસ દરમિયાન પોલીસે શંભુ શર્માને કસ્ટડીમાં લીધો હતો. પૂછપરછ દરમિયાન તેણે બાળકને માર માર્યાની કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે. મંગળવારે તેની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

હાલ પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આરોપીએ બાળક પર હુમલો શા માટે કર્યો હતો અને બાળકની માતાને આ ઘટનાની જાણ હતી કે નહીં.

thane crime thane Crime News mumbai crime news share market stock market mumbai news news