30 January, 2025 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈના ઘણસોલી રેલવે-સ્ટેશન પર સોમવારે સાંજે ૧૨ વર્ષની એક કિશોરી વાશી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ને મળી આવી હતી. તેનાં માતા-પિતાનો કોઈ પત્તો ન લાગતાં મંગળવારે તેનું મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવ્યું હતું, જેમાં તેના પર બળાત્કાર થયો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વાશી GRPએ આ મામલે બળાત્કારની ફરિયાદ નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે તેમ જ આ ત્યજી દેવાયેલી કિશોરી ક્યાંની છે અને કઈ રીતે ઘણસોલી રેલવે-સ્ટેશન સુધી પહોંચી એની માહિતી ભેગી કરવામાં આવી રહી છે.
સોમવાર સાંજે ઘણસોલી રેલવે-સ્ટેશન પરના એક નંબરના પ્લૅટફૉર્મ પર કિશોરી એકલી મળી આવી હતી એમ જણાવતાં વાશી GRPના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેશ શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પૅટ્રોલિંગ ડ્યુટી પર રહેલા પોલીસ-કર્મચારીઓએ એકલી બેસેલી કિશોરીની પૂછપરછ કરી હતી, પરંતુ તે પોતાનું નામ જણાવી શકી નહોતી તેમ જ પોતાના અથવા તેના પરિવાર વિશે કોઈ અન્ય માહિતી આપી શકી નહોતી એટલે અમે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની મદદ લઈને સ્ટેશન પર લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં. જોકે ત્યાંથી પણ કોઈ માહિતી મળી નહોતી. અંતે તેને ચાઇલ્ડ વેલ્ફેર સેન્ટરમાં મોકલવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો, એ પહેલાં તેનું મેડિકલ એક્ઝમિનેશન કરવું જરૂરી હતું એટલે અમારી ટીમે એ કરાવ્યું ત્યારે તેણે ડૉક્ટરને પોતાની સાથે બનેલો બનાવ કહ્યો હતો. અંતે વધુ તપાસ કરતાં તેના પર બળાત્કાર થયો હોવાનો ખુલાસો થયો હતો. આ કેસમાં અમે અજાણ્યા આરોપી સામે ફરિયાદ નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કિશોરી પોતાનું નામ પણ યોગ્ય રીતે બોલી શકતી નથી એટલે તેની પાસેથી વધુ માહિતી કઢાવવા માટે અમે ચાઇલ્ડ સ્પેશ્યલિસ્ટની મદદ લઈ રહ્યા છીએ.’