ખાર સ્ટેશનને બે ડેકમાં અપગ્રેડ કરવામાં આવશે

31 May, 2023 08:50 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

ખાર સ્ટેશનને બાંદરા ટર્મિનસ સાથે જોડવાથી બાંદરા સબર્બન સ્ટેશન પરનું પ્રેશર ઓછું થશે. એને એલિવેટેડ પ્લૅટફૉર્મ સાથે અપગ્રેડ કરવાની અને બાંદરા ટર્મિનસ સાથે લિન્ક કરવાની યોજના છે

બાંદરા ટર્મિનસ અને ખાર સ્ટેશન વચ્ચેનો સ્કાયવૉક

બાંદરા ટર્મિનસ માટે ખાર સ્ટેશન નવું એન્ટ્રી પૉઇન્ટ બની શકે છે. રેલવે એક વખતના નાના સ્ટેશનને બે ડેકમાં રૂપાંતરિત કરીને અપગ્રેડ અને એકીકૃત કરી રહી છે. એને બાંદરા ટર્મિનસનાં તમામ પ્લૅટફૉર્મ સાથે લિન્ક કરવામાં આવશે.

વેસ્ટર્ન રેલવેના એક સિનિયર ઑફિસરે જણાવ્યું હતું કે ‘ખાર સ્ટેશનને બાંદરા ટર્મિનસ સાથે જોડવાથી બાંદરા સબર્બન સ્ટેશન પરનું પ્રેશર ઓછું થશે. ખાર સ્ટેશનને એલિવેટેડ પ્લૅટફૉર્મ સાથે અપગ્રેડ કરવાની અને એને બાંદરા ટર્મિનસ સાથે લિન્ક કરવાની યોજના છે.’

બંને સ્ટેશનોને જોડતા પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ગયા વર્ષે પૂર્રો થયો હતો. ત્યારે વેસ્ટર્ન રેલવેએ બાંદરા ટર્મિનસથી આવતી અને ઊપડતી બહારગામની ટ્રેનોના મુસાફરોની સુવિધા માટે ખાર રોડ સ્ટેશન પર બાંદરા ટર્મિનસને સબર્બન નેટવર્ક સાથે જોડતો ૩૧૪ મીટર લાંબો સ્કાયવૉક શરૂ કર્યો હતો.

ખાર સ્ટેશન પર ચાલી રહેલા કામનું નિરીક્ષણ કરી રહેલા એમઆરવીસીના સીએમડી એસ. સી. ગુપ્તા

વેસ્ટર્ન રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ‘૪.૪ મીટર પહોળો અને ૩૧૪ મીટર લાંબો સ્કાયવૉક પહેલી જુલાઈ ૨૦૨૨ના રોજ બાંદરા ટર્મિનસ અને ખાર રોડ વચ્ચે શરૂ કરવામાં આવ્યો હતો. એના પરિણામે પૅસેન્જરો ખાર રોડ સ્ટેશને ઊતરીને બાંદરા ટર્મિનસના કોઈ પણ પ્લૅટફૉર્મ પર પહોંચી શકે છે અને સ્કાયવૉક સાથે જોડાયેલા ખાર સાઉથ-એન્ડના ફુટ ઓવરબ્રિજનો ઉપયોગ કરી શકે છે. સ્કાયવૉકનો કુલ ખર્ચ અંદાજે ૧૪ કરોડ રૂપિયા થયો છે તથા ૫૧૦ એમટી સ્ટ્રક્ચરલ સ્ટીલ, ૨૦ એમટી રીઇન્ફોર્સમેન્ટ સ્ટીલ અને ૨૪૦ ક્યુબિક મીટર કૉન્ક્રીટનો ઉપયોગ કરીને એનું નિર્માણ કરવામાં આવ્યું છે.’

મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશનના સીપીઆરઓ સુનીલ ઉદાસીએ જણાવ્યું હતું કે ‘ખાર સ્ટેશનમાં ચાલી રહેલા કામમાં નાના સ્ટેશનને ટૂ-ડેક સ્ટેશનમાં અપગ્રેડ કરવાનું સામેલ છે. આ કાર્યમાં આઇલૅન્ડના પ્લૅટફૉર્મ એક અને બેમાં એક એલિવેટેડ ડેકનું નિર્માણ, વેસ્ટ બાજુ એક હોમ પ્લૅટફૉર્મ, એન્ટ્રન્સમાં સુધારો, બુકિંગ ઑફિસ, ચાર એસ્કેલેટર તથા ત્રણ લિફ્ટ શરૂ કરવાની છે. કામ યોગ્ય ઝડપે ચાલી રહ્યું છે અને આશરે ૬૦ ટકા કામ ૨૦૨૪ના માર્ચ સુધી પૂરું થઈ જશે.’  

mumbai mumbai news khar bandra western railway rajendra aklekar