05 March, 2025 11:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સ્વારગેટ બસ ડેપોમાં બળાત્કારની ઘટના તાજી છે ત્યાં ગઈ કાલે પુણેમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ની મહિલા પદાધિકારી રેખા કોંડે સાથે અજાણી વ્યક્તિએ સાઇકલ અથડાવીને અપશબ્દો કહ્યા હોવાની ઘટના બની હતી. આ બનાવ બાદ રેખા કોંડેએ કહ્યું હતું કે મહિલાઓને નાનું હથિયાર કે છત્રપતિ શિવાજી મહારાજના સમયના વાઘનખ રાખવાની પરવાનગી આપવામાં આવે તો પોલીસની અમને જરૂર નહીં રહે.
પુણે પોલીસના જણાવ્યા મુજબ શિવસેનાનાં મહિલા પદાધિકારી રેખા કોંડે સવારના સમયે રસ્તા પરથી જઈ રહ્યાં હતાં ત્યારે એક યુવકે તેમની સાથે સાઇકલ અથડાવી હતી. રેખા કોંડેએ યુવકને સંભાળીને સાઇકલ ચલાવવાનું કહ્યું હતું ત્યારે યુવકે તેમને અપશબ્દો કહ્યા હતા. આ ઘટના બાદ રેખા કોંડેએ પોલીસ હેલ્પલાઇનમાં તાત્કાલિક મદદ મેળવવા માટે કૉલ કર્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં યુવક પલાયન થઈ ગયો હતો.