સંજય રાઉત ભોંઠા પડ્યા

12 June, 2026 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં નરેન્દ્ર મોદી અને કૉક્રૉચ જનતા પાર્ટીનો સ્થાપક અભિજિત દીપકે મળ્યા હોય એવો નકલી ફોટો પોસ્ટ કર્યા પછી ડિ​લીટ કરવો પડ્યો

સંજય રાઉત

શિવસેના (UBT)ના નેતા તેમ જ રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે ગુરુવારે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મળતા હોય એવો ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો અને બન્ને અમેરિકામાં મળ્યા હોય એવો આક્ષેપ કર્યો હતો. જોકે પછીથી એ ફોટો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) જનરેટેડ હોવાનું જણાતાં પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. પોસ્ટમાં નરેન્દ્ર મોદી અને અભિજિત દીપકેનો ફોટો મૂકીને સંજય રાઉતે લખ્યું હતું કે ‘કોઈએ મને અભિજિત દીપકે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા હોય એવો ફોટો મોકલાવ્યો છે. મને એવું પણ કહેવાયું છે કે નરેન્દ્ર મોદી અમેરિકામાં અભિજિત દીપકેને મળ્યા એના પછી જ અભિજિત દીપકે ભારત પાછો આવ્યો હતો. હું આ વિશે વધુ માહિતી એકઠી કરી રહ્યો છું.’
સંજય રાઉતે આ બાબતે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘મેં કૉક્રૉચ જનતા પાર્ટીના આંદોલનને ટેકો આપ્યો હતો, પરંતુ હવે નવી માહિતી સામે આવી છે અને મને લાગ્યું કે મારે એ બધા સાથે શૅર કરવી જોઈએ. અત્યાર સુધી કોઈ પણ રાજકીય પક્ષના નેતા કૉક્રૉચ જનતા પાર્ટીના સમર્થનમાં સામે આવ્યા નથી.’

CJPના ઇન્સ્ટાગ્રામ ફૉલોઅર્સ વિશે તપાસની માગણી કરતી ફરિયાદ

અરવિંદ સિંહ નામના ઍડ્વોકેટે મુંબઈ પોલીસમાં CJPના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના ફૉલોઅર્સ અને અકાઉન્ટના ગ્રોથ વિશે સાઇબર ઇન્વેસ્ટિગેશન કરવાની માગણી કરતી ફરિયાદ નોંધાવી છે. અચાનક CJPના અકાઉન્ટના ફૉલોઅર્સ વધી જાય છે અને તરત જ ઘટી ગયા બાદ ફરીથી વધી જાય છે. શું આ બધું ઑર્ગેનિક રીતે થઈ રહ્યું છે કે આર્ટિફિશ્યલ રીતે એ વિશે તપાસ કરવાની માગણી ફરિયાદમાં કરાઈ છે.

પુણેમાં અભિજિત દીપકેનું વિરોધ-પ્રદર્શન, સોનમ વાંગચુક પણ જોડાયા

ગુરુવારે અભિજિત દીપકેએ NEET-UG પેપર લીક થવાના કારણે કથિતપણે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓ માટે પુણે યુનિવર્સિટીમાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું જેમાં પ્રખ્યાત રિફૉર્મર, એન્જિનિયર, એન્વાયર્નમેન્ટલિસ્ટ સોનમ વાંગચુક પણ જોડાયા હતા જેમાં ભારતના એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી પણ કરવામાં આવી હતી. પેપર-લીકના કેસના કારણે જે વિદ્યાર્થીઓને વેઠવું પડ્યું છે તેમને વળતર અપાય અને શિક્ષણક્ષેત્રમાં ધરમૂળથી ફેરફાર કરાય એવી માગણી વિરોધ-પ્રદર્શન બાદ અભિજિત દીપકેએ કરી હતી. 

mumbai news mumbai sanjay raut cockroach janata party shiv sena uddhav thackeray