15 August, 2024 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી, દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર પર અધિકારીઓની બદલીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ થઈ રહ્યો છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ નારાજગી વ્યક્ત કરી છે. આવા આરોપથી મહાયુતિ સરકારની ઇમેજને નુકસાન પહોંચી રહ્યું છે એટલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રધાનોએ ભ્રષ્ટાચારથી દૂર રહેવું જોઈએ એવી સલાહ RSSએ આપી હોવાનું જાણવા મળ્યું હતું. RSSએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં ફરી સત્તા મેળવવી હોય તો RSS અને BJP વચ્ચે સમન્વય જરૂરી છે. લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં BJPના ડેવલપમેન્ટના મુદ્દા પર મતદારોએ નારાજગી વ્યક્ત કરવાને લીધે નિષ્ફળતા મળી હતી. આ વિશે BJP દ્વારા આત્મચિંતન અને મંથન ચાલી રહ્યું છે. RSSએ BJPમાં સામેલ મરાઠા, OBC અને દલિત સમાજના નેતાઓને જવાબદારી વહેંચીને એ મુજબ દિવાળી બાદ યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવે એવી સૂચના પણ આપી છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે BJP અને RSSના વરિષ્ઠ નેતાઓની બેઠકોનો દોર ચાલી રહ્યો છે એમાં ચૂંટણીની રણનીતિ કેવી હોવી જોઈએ એનો રોડમૅપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.