26 February, 2026 08:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મરીન ડ્રાઇવ પોલીસ-સ્ટેશનમાં રોહિત પવાર અને કાર્યકરો.
NCP (SP)ના નેતા રોહિત પવારે મરીન ડ્રાઇવ પોલીસ-સ્ટેશનમાં મેસર્સ VRS વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ, એના ડિરેક્ટર્સ અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને રોહિત પવારના કાકા અજિત પવારના પ્લેન-ક્રૅશ સંબંધી તપાસ માટે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવવા માટે ગઈ કાલે આખો દિવસ ડ્રામા ચાલ્યો હતો. છેવટે મરીન ડ્રાઇવ પોલીસે FIR નોંધીને વધુ તપાસ અને યોગ્ય કાર્યવાહી માટે પુણેમાં આવેલા ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ને ફરિયાદ મોકલી આપી છે.
ગઈ કાલે સવારે રોહિત પવાર મરીન ડ્રાઇવ પોલીસ-સ્ટેશનમાં ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA) વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા ત્યારે પોલીસે DGCA વિરુદ્ધ ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ ડેપ્યુટી પોલીસ-કમિશનર પ્રવીણ મુંડે અને રોહિત પવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને રોહિત પવારે કહ્યું હતું કે ‘દરેકને FIR નોંધાવવાનો અધિકાર છે. દિલ્હીમાં કોઈ કાર્યક્રમમાં કૉન્ગ્રેસના કાર્યકર શર્ટ ઉતારે તો પણ FIR નોંધાય છે, તો પછી અજિતદાદાના મૃત્યુના કેસમાં FIR કેમ ન નોંધાઈ શકે?’
રોહિત પવારે દાવો પણ કર્યો હતો કે ઉપરથી ફોન આવ્યા બાદ પોલીસે તેમની ફરિયાદ નોંધવાની ના પાડી હતી. DGCAએ ઑડિટ-રિપોર્ટના આધારે VSR કંપનીના પચીસમાંથી ફક્ત ચાર પ્લેન વિરુદ્ધ કાર્યવાહી કરી હતી, જ્યારે રોહિત પવાર એ કંપની બંધ કરવાની માગણી સાથે DGCA વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. અગાઉ DGCAએ VSRને ક્લીન-ચિટ આપવાનો પ્રયાસ કર્યો અને હજી પણ રિપોર્ટમાં સ્પષ્ટતા ન હોવાનું કહીને DGCA વિરુદ્ધ તેમણે ફરિયાદ નોંધાવવાની તૈયારી બતાવી હતી.