દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કર્યા પછી શરદ પવારના ઉમેદવારે ઇલેક્શન લડવાનું માંડી વાળ્યું

07 April, 2026 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહમદનગરના રાહુરીના પેટાચૂંટણીમાં અપેક્ષિત ઘટનાક્રમ: પ્રાજક્ત તનપુરે ફૉર્મ ભરવાનું માંડી વાળે એવી શક્યતા હોવાથી પાર્ટીએ મુંબઈથી બે AB ફૉર્મ મોકલાવ્યાં હતાં, આખરે ગોવિંદ મોકાટેએ ફૉર્મ ભર્યું

પ્રાજક્ત તનપુરે, ગોવિંદ મોકાટે

બારામતીની સાથે જ ૨૩ એપ્રિલે યોજાનારી અહમદનગર જિલ્લાના રાહુરીની વિધાનસભાની પેટાચૂંટણી પણ હવે રસપ્રદ બની રહે એવી ઘટના બની છે. રાહુરીના ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય શિવાજીરાવ કર્ડિલેનું નિધન થતાં ખાલી પડેલી બેઠક માટે આ પેટાચૂંટણી યોજાવાની છે.

BJPએ સ્વ. શિવાજીરાવ કર્ડિલેના દીકરા અક્ષય કર્ડિલેને ટિકિટ આપી છે. જોકે આ બેઠક માટે NCP (SP)ના પ્રાજક્ત તનપુરે ચૂંટણીમાં ઝુકાવે એવી પૂરેપૂરી શક્યતા હતી અને તેમના જીતવાના ચાન્સ પણ ઊજળા હતા એથી તેમને રોકવા BJPએ જોરદાર ફીલ્ડિંગ લગાવી હતી. NCP (SP)ના મુંબઈ હેડક્વૉર્ટરને પણ શંકા હતી કે કદાચ છેલ્લી ઘડીએ પ્રાજક્ત તનપુરે માંડી વાળે તો બીજા ઉમેદવારને ઊભા રાખી શકાય એ માટે રવિવારે બે AB ફૉર્મ મોકલાવ્યાં હતાં. 

બે વરિષ્ઠ નેતાઓ સવારે  પ્રાજક્ત તનપુરેના ઘરે પહોંચી ગયા હતા

પ્રાજક્ત તનપુરેને સમજાવવા ગઈ કાલે સવારે મહારાષ્ટ્રના BJPના પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણ અને અહિલ્યાનગરના પાલકપ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલ તેમને મળ્યા હતા. તેમની વચ્ચે લાંબા સમય સુધી બંધબારણે ચર્ચા થઈ હતી. એ પછી એવું કહેવાય છે કે એ ચર્ચા દરમ્યાન ત્યાંથી જ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ફોન કરવામાં આવ્યો હતો. દેવેન્દ્ર ફડણવીસ કેરલમમાં વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચાર માટે ગયા છે. એવું કહેવાય છે કે દેવેન્દ્ર ફડણવીસે પ્રાજક્ત તનપુરેને આશ્વાસન આપ્યું છે કે જો તેઓ આ ચૂંટણીમાં ન ઝુકાવે તો સારું. છતાં રાહુરીના વિકાસ માટે અને સમસ્યાઓના ઉકેલ લાવવા સરકાર તમને ૧૦૦ ટકા મદદ કરશે. મુખ્ય પ્રધાને આ આશ્વાસન આપ્યું હોવાથી આખરે પ્રાજક્ત તનપુરેએ ચૂંટણીમાં ઝુકાવવાનું માંડી વાળ્યું છે. એ પછી ૩ વાગ્યે ફૉર્મ ભરવાની મુદત પૂરી થવાની હતી એના અડધો કલાક પહેલાં NCP (SP)ના ઉમેદવાર તરીકે ગોવિંદ મોકાટેએ ફૉર્મ ભર્યું હતું.  

mumbai news mumbai bhartiya janta party bjp bharatiya janata party devendra fadnavis sharad pawar nationalist congress party baramati