23 January, 2023 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભગવંત સિહ માન
મુંબઈ : આમ આદમી પાર્ટી (એએપી - આપ)એ દિલ્હી કબજે કર્યા બાદ પંજાબમાં પોતાનો ઝંડો લહેરાવ્યો હતો અને પછી ગુજરાતમાં પણ પગપેસારો કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે એની નજર દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈ અને મહારાષ્ટ્ર પર છે. મુંબઈ આવેલા પંજાબના મુખ્ય પ્રધાન અને આપના નેતા ભગવંત સિંહ માને જાહેરાત કરતાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટી મુંબઈ અને મહારાષ્ટ્રની બધી જ ચૂંટણી લડશે એટલું જ નહીં, દરેક સીટ પરથી લડશે. તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટી સામાન્ય લોકોને સ્પર્શતા સ્કૂલ, વીજળી, પાણી, હૉસ્પિટલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મુદ્દા પર કામ કરે છે અને તેઓ નફરતના રાજકારણમાં માનતા નથી.
ભગવંત સિહ માન મુંબઈમાં બંને રાજ્યો પંજાબ અને મહારાષ્ટ્રના વ્યાપારી સંબંધો દૃઢ બને એ માટે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરવાના છે. તેમણે કહ્યું હતું કે ‘દિલ્હીમાં આપે સારી સ્કૂલો બનાવી છે અને દરદીઓ માટે મહોલ્લા ક્લિનિક બનાવ્યાં છે. અમે પંજાબમાં પણ એને ફૉલો કરીને સારી સ્કૂલો બનાવી રહ્યા છીએ. એટલું જ નહીં, ૨૭ જાન્યુઆરીએ પંજાબમાં ૫૦૦ જેટલાં મહોલ્લા ક્લિનિક પણ ખુલ્લાં મુકાશે.’