18 December, 2025 08:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રમાં રાજ્ય દ્વારા સંરિક્ષત સ્મારકો પર થયેલા અતિક્રમણને દૂર કરવા માટેના પ્રસ્તાવને મહારાષ્ટ્ર કૅબિનેટે બુધવારે મંજૂરી આપી હતી. ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી પ્રધાનમંડળની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણયથી રાજ્યભરનાં ઐતિહાસિક સ્મારકોના એરિયામાંથી અતિક્રમણ દૂર કરવા માટે હવે કડક પગલાં ભરવામાં આવશે.
રાજ્યના ઐતિહાસિક કિલ્લાઓ પર અતિક્રમણ દૂર કરવા બાબતે ૨૦ જાન્યુઆરીએ ગવર્નમેન્ટ રેઝલ્યુશન (GR) ઇશ્યુ કરવામાં આવ્યો હતો. આ GRના વ્યાપનો વિસ્તાર કરીને એમાં હવે કિલ્લાઓ સાથે રાજ્યમાં રહેલાં ૩૯૦ જેટલા સ્ટેટ-પ્રોટેક્ટેડ મૉન્યુમેન્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રધાનમંડળે આ માટે સ્ટેટ લેવલ કમિટીની રચનાને પણ મંજૂરી આપી હતી.