25 February, 2026 11:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પી. ડી. હિન્દુજા હૉસ્પિટલ દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘જીવન બચાવો અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરો’નું ઉદ્ઘાટન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઈ કાલે મુંબઈનાં મહેમાન બન્યાં હતાં. તેમણે મુંબઈના લોકભવન ખાતે પી. ડી. હિન્દુજા હૉસ્પિટલ દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘જીવન બચાવો અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરો’નું ઉદ્ઘાટન કર્યું હતું. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બન્ને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને સુનેત્રા પવારે આ પ્રસંગે ખાસ હાજરી આપી હતી.
અભિયાનના ઉદ્ઘાટન બાદ તેમણે જણાવ્યું હતું કે ‘નાગરિકોનું સ્વાસ્થ્ય એક સામૂહિક જવાબદારી છે. ગરીબ લોકોને પણ સમયસર અને યોગ્ય મેડિકલ કૅર મળે એ માટે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ.’ ઇમર્જન્સી અને લાઇફસેવિંગ મેડિસિન તથા મેડિકલ ક્ષેત્રે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની વધતી જતી ભૂમિકા વિશે પણ તેમણે વાત કરી હતી.
આ અભિયાન અંતર્ગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશનાં વિવિધ રાજ્યોની યાત્રા કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકભવન ખાતે પીપળાનું વૃક્ષ રોપ્યું હતું તેમ જ હિન્દુજા હૉસ્પિટલનાં કાર્યોની સમીક્ષા કરી હતી.