હાથ તો નહીં મળે, પણ ન્યાય મળશે?

22 December, 2022 09:24 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

ખોટી સારવારને કારણે હાથ ગુમાવનાર તેમના બાળકનો મહિના પછીયે મેડિકલ રિપોર્ટ આવ્યો નથી

નાલાસોપારાના નવજાત બાળકે પોતાનો એક હાથ ગુમાવ્યો હતો

નાલાસોપારામાં નવેમ્બર મહિનામાં અયોગ્ય સારવારને કારણે ગુજરાતી પરિવારના નવજાત શિશુએ પોતાનો હાથ ગુમાવ્યો હતો. બાળકનાં માતા-પિતાએ પોતાના બાળકને ન્યાય મળે એ માટે ફરિયાદ નોંધાવી હતી. આ પરિવાર પોતાના બાળકને ન્યાય મળે એની રાહમાં છે ત્યારે આ કેસમાં જિલ્લા સર્જ્યનનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી પોલીસે ગુનો દાખલ ન કરતાં મામલો એક મહિનાથી અટકી પડ્યો છે. એક મહિના પછી પણ પોલીસને જિલ્લા તબીબી વિભાગ તરફથી રિપોર્ટ મળ્યો નથી તેમ જ આ કેસમાં કોઈ પ્રોગ્રેસ પણ થયો નથી.

નાલાસોપારામાં રહેતી અંજલિ વાલાને પાંચમી ઑક્ટોબરે ડિલિવરી માટે નાલાસોપારાની ખાનગી ત્રિવેણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અંજલિએ બીજા દિવસે બે ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો હતો. આ સમયે બન્ને બાળકો સ્વસ્થ અને સ્વસ્થ હોવાનું સારવાર કરતા તબીબે જણાવ્યું હતું. જોકે ડૉક્ટરે કહ્યું હતું કે બાળકની સુગર ઓછી હોવાથી તેને સલાઇન લગાડ્યું હતું. આમાં તેનો જમણો હાથ કાળો થઈ ગયો હતો. બાળકની તબિયતમાં કોઈ સુધારો ન થતાં માતા-પિતા તેને મુંબઈની વાડિયા હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં. આ વખતે બાળકના હાથમાં ગૅન્ગરીન થઈ ગયું હતું. એને કારણે તેનો જમણો હાથ કાપવામાં આવ્યો હતો.

નવજાત બાળકનો હાથ કપાઈ જતાં માતા-પિતા ભારે આઘાતમાં હતાં. ઘણા દિવસો સુધી તેની હૉસ્પિટલમાં સારવાર ચાલી હતી. ત્યાર બાદ ૩૦ ઓક્ટોબરે અંજલિએ નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં ત્રિવેણી હોસ્પિટલના ડૉક્ટરો વિરુદ્ધ અરજી દાખલ કરી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે આ ઘટનામાં ત્રિવેણી હૉસ્પિટલના ડૉક્ટરોની ખોટી સારવારને કારણે તેના બાળકે હાથ ગુમાવ્યો હતો. જોકે આ કેસ મેડિકલ ક્ષેત્રનો હોવાથી નાલાસોપારા પોલીસે સર્જિકલ મેડિકલ ઑફિસર પાસેથી રિપોર્ટ માગ્યો હતો. એક મહિનાથી વધુ સમય થવા છતાં સર્જ્યનનો રિપોર્ટ આવ્યો ન હોવાથી પોલીસે ગુનો દાખલ કર્યો નથી.

ન્યાય મેળવવા સંઘર્ષ કરવો પડે છે
બાળકની માતા અંજલિ વાલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બાળકની સારવાર માટે ત્રણથી ચાર લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. પોલીસમાં ફરિયાદ કરી છે ત્યારથી તેઓ અમને બાળકની વિવિધ બ્લડ-ટેસ્ટ કરાવવાનું કહી રહ્યા છે. આ બધી ટેસ્ટ ખૂબ ખર્ચાળ છે અને અમારી નાણાકીય સ્થિતિનો અભાવ અમારા પર વધારાનું દબાણ લાવી રહી છે. રિપોર્ટ અંગે અમને કોઈ યોગ્ય માહિતી આપી રહ્યું નથી. એને કારણે પોલીસ, પાલઘર અને વાડિયા હૉસ્પિટલનાં ચક્કર લગાવવા પડતાં હોવાથી તેમની આર્થિક સ્થિતિ કથળી રહી છે. અમને ન્યાય મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. અમે બાળકની આવી હાલત હોવા છતાં એક મહિનાથી બધે ભટકી રહ્યા છીએ અને આર્થિક અને માનસિક રીતે ખૂબ પરેશાન થઈ રહ્યા છીએ.’

રિપોર્ટની રાહમાં
નાલાસોપારા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિલાસ સુપેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પાલઘરથી હજી સુધી રિપોર્ટ આવ્યો નથી. એ મળશે એટલે રિપોર્ટ મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.’

આ વિશે ડૉ. સંજય બોદાડેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે આ કેસ સંદર્ભે રિપોર્ટ તૈયાર કર્યો છે અને એ જલદી નાલાસોપારા પોલીસને સોંપવામાં આવશે.’

mumbai mumbai news nalasopara preeti khuman-thakur