26 June, 2026 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મયંક લોહાર
મુંબઈની લોકલ ટ્રેનમાં મંગળવારે એક યુવકની ચાકુ મારીને હત્યા કરાઈ હોવાનો મુદ્દો ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં ગાજ્યો હતો. વિપક્ષી સભ્યો દ્વારા આ મામલે ઉગ્ર રજૂઆતો કરવામાં આવ્યા બાદ સ્પીકર રાહુલ નાર્વેકરે રાજ્ય સરકારને ૨૯ જૂને આ ઘટના અંગે ગૃહમાં સત્તાવાર નિવેદન આપવાનો નિર્દેશ કર્યો હતો.
કૉન્ગ્રેસના વિધાનસભ્ય નાના પટોલેએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવતાં કહ્યું હતું કે આ મામલો લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા સામાન્ય નાગરિકોની સુરક્ષા સાથે જોડાયેલો છે. ટ્રેનના મુસાફરોની સલામતી અને સુરક્ષા-વ્યવસ્થા પર ચર્ચા કરવાની માગણી સાથે તેમણે આ કેસમાં ઝડપથી ન્યાય મળવો જોઈએ એવી અપીલ કરી હતી. તેમણે સરકાર પર પ્રહારો કરતાં કહ્યું હતું કે ‘ચુસ્ત સુરક્ષા-વ્યવસ્થાના દાવાઓ વચ્ચે મુંબઈમાં આવી ગંભીર ઘટના બને એ અત્યંત કમનસીબ છે. સરકારે આ મામલે તાત્કાલિક તપાસ કરીને અત્યાર સુધી શું પગલાં લેવામાં આવ્યાં છે એની માહિતી ગૃહને આપવી જોઈએ.’
વિધાનસભ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આ ગંભીર ચિંતાઓ પર પ્રતિક્રિયા આપતાં સ્પીકર રાહુલ નાર્વેકરે સ્વીકાર્યું હતું કે આ ઘટના પર સરકારનું તાત્કાલિક ધ્યાન જવું અનિવાર્ય છે અને તેમણે સરકારને આ અંગે સ્ટેટમેન્ટ રજૂ કરવા જણાવ્યું છે.