27 December, 2023 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે
મુંબઈ : રામજન્મભૂમિ અયોધ્યામાં રામના બાળસ્વરૂપની મૂર્તિની પ્રતિષ્ઠા ૨૨ જાન્યુઆરીએ નિર્ધારિત કરવામાં આવી છે ત્યારે દેશ-વિદેશના મહાનુભાવોને આમંત્રણ આપવાની શરૂઆત કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાંથી રાજ ઠાકરેને આમંત્રણ આપવામાં આવશે, પણ અયોધ્યા માટે કોઈ યોગદાન ન આપનારા ઉદ્ધવ ઠાકરેને નહીં બોલાવવામાં આવે એમ બીજેપીના વરિષ્ઠ નેતા અને રાજ્યના પ્રધાન ગિરીશ મહાજને કહ્યું હોવાથી વિવાદ ઊભો થયો છે. રાજ ઠાકરેનું પણ કોઈ યોગદાન ન હોવા છતાં તેઓ વીવીઆઇપી અને હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેના પુત્ર હોવા છતાં ઉદ્ધવ ઠાકરે સામાન્ય કેમ ગણાય એવો સવાલ ઊભો થયો છે.
અયોધ્યામાં નિર્માણ કરવામાં આવનારા ભવ્ય રામમંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠામાં સામેલ થવા માટે શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા દેશ-વિદેશના વીવીઆઇપી મહાનુભાવોને આમંત્રણ આપવાની શરૂઆત કરવામાં આવી છે. ટ્રસ્ટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેને આમંત્રણ આપ્યું છે, પણ બાળાસાહેબના પુત્ર અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને અયોધ્યા બોલાવવામાં નથી આવ્યા. આથી તેમના સમર્થકો દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. આ વિશે બીજેપીના વરિષ્ઠ નેતા અને રાજ્યના પ્રધાન ગિરીશ મહાજને સોમવારે સાંજે નાશિકમાં કહ્યું હતું કે ‘રામમંદિરના નિર્માણ અને કારસેવા બંનેમાં ઉદ્ધવ ઠાકરેનું કોઈ યોગદાન નથી. આથી મંદિરના ટ્રસ્ટે તેમને આમંત્રણ નહીં આપ્યું હોય. આથી તેમણે આ બાબતે ખોટું ન લગાવવું જોઈએ. રામમંદિરના આંદોલનનો હું સાક્ષી છું. બે વખત હું કારસેવામાં સહભાગી થયો છું. ૨૦ દિવસ જેલમાં રહ્યો હતો. ઉદ્ધવ ઠાકરે એ સમયે ઘરમાં બેઠા હતા. તેઓ ક્યારેય અયોધ્યા ગયા નથી. આખી દુનિયાને ખબર છે કે તેમનો રામમંદિર આંદોલન સાથે કોઈ સંબંધ નથી. તેઓ વિધાન પરિષદના સભ્ય છે એટલે જ તેમને આમંત્રણ આપવું જોઈએ એ પૂરતું નથી.’
૧૯૯૨માં બાબરી મસ્જિદનો ઢાંચો તોડી પાડવામાં આવ્યો હતો ત્યારે આમાં શિવસૈનિકો સામેલ હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો. ત્યારે બાળાસાહેબ ઠાકરેએ કહ્યું હતું કે બાબરીનો ઢાંચો તોડવામાં અમારો હાથ હોવાનું કોઈ કહેતું હોય તો મને એનો ગર્વ છે. તેમના જ પુત્ર ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ આપવામાં ન આવ્યું હોવાની અત્યારે જોરદાર ચર્ચા થઈ રહી છે.
૨૨ જાન્યુઆરીએ થનારી મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ વખતે વિવિધ રાજ્યોના રાજ્યપાલ અને મુખ્ય પ્રધાનોને પણ આમંત્રણ નથી આપવામાં આવ્યું એની પણ ટીકા થઈ રહી છે. એ વિશે તીર્થક્ષેત્ર ટ્રસ્ટે ખુલાસો કર્યો છે કે ‘રામમંદિરની પ્રતિષ્ઠા સમયે મોટા પ્રમાણમાં સામાન્ય નાગરિકો અને વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો અયોધ્યા પહોંચશે. આથી દેશભરના રાજ્યપાલો અને મુખ્ય પ્રધાનોને તેમના પ્રોટોકૉલ મુજબ તેમની આગતા-સ્વાગતા શક્ય નથી. તેમની બંધારણીય પદની ગરિમાને ઠેસ ન પહોંચે એ માટે તેમને આમંત્રિત નથી કરાયા.’
જલયુક્ત શિવાર માટે ફડણવીસને જપાને ડૉક્ટરેટની પદવી આપી
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં વિવિધ વિકાસકામની સાથે પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે જલયુક્ત શિવાર એટલે કે દરેક ખેતરમાં તળાવ બનાવવા માટેની યોજના શરૂ કરવા બદલ જપાનની કોયાસન યુનિવર્સિટીએ માનદ ડૉક્ટરેટની પદવીથી તેમનું સન્માન કર્યું છે. કાયાસન યુનિવર્સિટીએ ૧૨૦ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત માનદ ડૉક્ટરેટની પદવી આપવાનો નિર્ણય લીધા બાદ ઑગસ્ટ મહિનામાં એની જાહેરાત કરી હતી. આથી આ પદવીદાન સમારંભ ગઈ કાલે મુંબઈ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યો હતો. જપાનની યુનિવર્સિટીની આ પદવી મેળવનારા દેવેન્દ્ર ફડણવીસ પહેલા ભારતીય બન્યા છે. ઑગસ્ટ મહિનામાં દેવેન્દ્ર ફડણવીસ જપાન ગયા હતા ત્યારે તેમણે કોયાસન યુનિવર્સિટીની મુલાકાત કરી હતી. ત્યારે ડીન સોએદા સૅને તેમને ડૉક્ટરેટની માનદ પદવી આપવાની જાહેરાત કરી હતી.