17 August, 2026 07:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તુકારામ મુંઢે
મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ ચેમ્બુર નાકા નજીક વેલોસિટી એક્સપ્રેસ વેરહાઉસમાંથી ફ્રૂટી, ઍપપી અને ઍપલ ફિઝની સમયસીમા સમાપ્ત થઈ ગયો હોવાનો સ્ટૉક મળ્યા બાદ મેસર્સ પાર્લે ઍગ્રોનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું હતું. ૯૯,૯૭૦ રૂપિયાની કિંમતનો સ્ટૉક જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી FDAના કમિશનર તુકારામ મુંઢેની આગેવાની હેઠળ રેસ્ટોરાં, હોટેલ, ઢાબા, બેકરીઓ, ઑનલાઇન ફૂડ-પ્લૅટફૉર્મ અને અન્ય ખાદ્ય વ્યવસાયો સામે રાજ્યવ્યાપી ઝુંબેશના ભાગરૂપે કરવામાં આવી છે. તુકારામ મુંઢેએ મે ૨૦૨૬માં મહારાષ્ટ્ર FDAના વડા તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ત્યાર બાદ સતત કાર્યવાહી થઈ રહી છે.
ઇન્ડિયન નેવીમાં ખલાસી તરીકે ફરજ બજાવતા અને કફ પરેડના નેવીનગરમાં રહેતા ૩૦ વર્ષના પુરણમલ મેહરાનો મૃતદેહ તેના જ ઘરમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેની ૨૮ વર્ષની પત્ની ઓમા, ૩ વર્ષનો દીકરો યશ અને બે મહિનાનું બાળક પણ બેડ પર મરેલી અવસ્થામાંથી મળી આવ્યાં હતાં. કફ પરેડ પોલીસને આ ઘટનાની જાણ થતાં તેમના ચારેયના મૃતદેહ પંચનામું કરવામાં આવ્યા બાદ જે. જે. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં પુરણમલે પત્ની અને બાળકોને ઝેર આપીને મારી નાખ્યા બાદ પોતે આત્મહત્યા કરી હોવાનું જણાઈ રહ્યું છે. આ સંદર્ભે કફ પરેડ પોલીસ વધુ તપાસ કરી રહી છે. નેવી તરફથી પણ તપાસમાં સહકાર આપવામાં આવી રહ્યો છે.
અરબી સમુદ્રમાં રૂટીન પૅટ્રોલિંગ કરતી વખતે યલો ગેટ પોલીસને સમુદ્રમાં એક કાચબો દરિયાનાં મોજાંઓ પર તરવા માટે હવાતિયાં મારી રહ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. એથી નજીક જઈને એને બચાવી લેવામાં આવ્યો હતો અને બોટ પર લઈ લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના મૅન્ગ્રોવ્ઝ સેલને એ વિશે જાણ કરવામાં આવી હતી. એ પછી પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થા રેસ્ક્યુઇંક અસોસિએશન ફૉર વાઇલ્ડલાઇફ વેલ્ફેર (RAWW)ને એની સોંપણી કરવામાં આવી હતી. તેઓ કાચબાને દહાણુના રીહૅબિલિટેશન સેન્ટરમાં લઈ ગયા હતા.
કાલાચૌકી વિભાગ સાર્વજનિક ઉત્સવ મંડળ દ્વારા ગઈ કાલે તેમના કાલાચૌકીચા મહાગણપતિની મૂર્તિ પરેલ વર્કશૉપથી મંડપમાં વાજતેગાજતે લઈ જવામાં આવી હતી. એ વખતે લાલબાગમાં ભારે ઉત્સાહ સાથે અને ઢોલનગારાં સાથે યુવક-યુવતીઓ નાચી રહ્યાં હતાં અને ગણપતિબાપ્પા મોરયાના નારા લગાવી રહ્યાં હતાં. સેંકડો લોકો તેમના આગમનમાં જોડાયા હતા અને પોતાના મોબાઇલમાં તેમના ફોટો અને વિડિયો લઈ રહ્યા હતા. તસવીરો: સતેજ શિંદે
સાર્વજનિક મંડળોની ગણપતિબાપ્પાની મોટી અને અનોખી મૂર્તિઓ બનાવવા માટે જાણીતા એવા મૂર્તિકાર અરુણ દાતેનું અનોખું સર્જન આ વખતે જોવા મળ્યું હતું. ઉલ્હાસનગરના એમ. એમ. ગ્રુપના સાર્વજનિક ગણપતિની મૂર્તિમાં તેમણે એક જ ગણપતિની મુખ્ય મૂર્તિ પર ૩૫૧ નાની ગણપતિની મૂર્તિ મૂકીને સજાવી છે. આમ એકમાં અનેકનાં દર્શન તેમણે કરાવ્યાં હતાં.