03 September, 2026 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસી હેડક્વૉર્ટર
વિધાનસભ્યો અને કૉર્પોરેટરોની માગણીઓ બાદ BMCએ તમામ વૉર્ડમાં એવા પ્લેગ્રાઉન્ડ પ્લૉટ્સની ઓળખ કરવાની કવાયત ફરી શરૂ કરી છે, જ્યાં ભૂગર્ભ પાર્કિંગ-સુવિધાઓ વિકસાવી શકાય. બાંદરામાં પટવર્ધન પાર્ક અને ભાયખલામાં ઝૂલા મેદાન ખાતેના ભૂગર્ભ પાર્કિંગ પ્રોજેક્ટ્સને લોકપ્રતિનિધિઓ અને સ્થાનિકોના વિરોધ બાદ બંધ કરવાની ફરજ પડી હતી. ત્યાર બાદ આ પગલું આવ્યું છે. ૨૦૧૮માં BMCએ ભાયખલામાં ઝૂલા મેદાન નીચે મલ્ટિ-લેવલ ભૂગર્ભ પાર્કિંગ-લૉટ બનાવવાનો નિર્ણય લીધો હતો અને પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યાં હતાં. વિરોધ બાદ ૨૦૧૯માં એને મુલતવી રાખવામાં આવ્યો હતો. એવી જ રીતે માર્ચ ૨૦૨૩માં BMCએ બાંદરા-વેસ્ટમાં રાવસાહેબ પટવર્ધન ગાર્ડનને અડીને આવેલા પ્લૉટ પર ભૂગર્ભ પાર્કિંગ-લૉટ માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. સ્થાનિક લોકોના પ્રતિકાર બાદ ૨૦૨૪માં પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો હતો. નાગરિકોએ જુહુમાં પુષ્પા નરસી પાર્ક નીચે પાર્કિંગ-લૉટનો પણ વિરોધ કર્યો હતો. સ્થાનિક રહીશોના વિરોધ બાદ માટુંગા રેલવે-સ્ટેશનની બહાર મલ્ટિ-લેવલ રોબોટિક પાર્કિંગ ટાવર રદ કરવાની પણ નાગરિક સંસ્થાને ફરજ પડી હતી.
તામિલનાડુમાં વિજયની સરકારે રાજ્યભરનાં બાવન મુખ્ય મંદિરોમાં સ્માર્ટફોન લઈ જવા અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. નવા નિયમો મંગળવારથી અમલમાં આવ્યા હતા. મંદિરમાં સ્માર્ટફોન લઈ જનારા ભક્તોએ ફોનને નિયુક્ત કાઉન્ટર પર જમા કરાવવો પડશે અને પ્રતિ ફોન પાંચ રૂપિયા ફી ચૂકવવી પડશે, જ્યારે કૅમેરા વગરના મોબાઇલ ફોનને મંદિરની અંદર લઈ જવાની મંજૂરી આપવામાં આવશે. મંદિર-પરિસરમાં ભક્તો, ખાસ કરીને યુવાનો દ્વારા ફોટોગ્રાફી કરવી, રીલ બનાવવી અને વિડિયો રેકૉર્ડિંગ કરવું, ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરવું આ બધા વિશે ચિંતા વ્યક્ત થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયે તાજેતરમાં સેલમની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે એક વૃદ્ધ મહિલાને પોતે પહેરેલા ૪૧,૦૦૦ રૂપિયાના બ્રૅન્ડેડ સનગ્લાસિસ ગિફ્ટમાં આપ્યા હતા. તેમનું આ વર્તન ઘણા લોકોને સ્પર્શી ગયું હતું. તેમની ગિફ્ટનો વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે અને લોકો તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. ચેલમ નામની આ મહિલાએ કહ્યું હતું કે ‘જ્યારે તે આવીને મારી બાજુમાં ઊભો રહ્યો ત્યારે મને આશ્ચર્ય થયું. મેં તેમને કહ્યું કે હું તમને જોઈને કેટલી ખુશ છું અને તેમણે મને આ સનગ્લાસિસ ભેટમાં આપ્યા હતા.’
થાણે-વેસ્ટના ઘોડબંદર રોડ પર આવેલી હીરાનંદાની એસ્ટેટના ૧૧ માળની કેપ્રી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ત્રીજા માળે ફ્લૅટ નંબર ૩૦૩માં ગઈ કાલે બપોરે સાડાચાર વાગ્યે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડનાં રેસ્ક્યુ વાહન, જમ્બો વૉટર ટેન્કર, મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL)ના કર્મચારીઓ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. ફાયર ફાઇટરોના સતત પ્રયાસો બાદ સાંજના બે કલાકે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો. આ દુર્ઘટનામાં ફ્લૅટમાંનો AC યુનિટ, TV, લાકડાનું બેડ, કબાટ અને કપડાં સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. સદ્નસીબે ફ્લૅટમાં રહેતી બન્ને મહિલાઓ આગ લાગતાંની સાથે જ તરત જ સુરક્ષિત રીતે બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી.
નેપાલમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનની ભયાવહ હોનારતમાં ગુમ થયેલા મહારાષ્ટ્રના નાગરિકોના મૃતદેહોની ઓળખ માટે રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે મહત્ત્વનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકારે કાલિનામાં આવેલી ડિજિટલ ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (DFSL) અને તમામ જિલ્લાના સિવિલ સર્જ્યનોને ગુમ થયેલા નાગરિકોના પરિવારજનોનાં ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) સૅમ્પલ પ્રાથમિકતાના ધોરણે એકઠાં કરવાનો નિર્દેશ આપ્યા છે. આ નિર્ણય વિદેશ-મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિર્દેશ બાદ લેવામાં આવ્યો હતો. ગુમ થયેલા નાગરિકોના મૃતદેહોની સાચી ઓળખ થઈ શકે એ માટે તેમના ફર્સ્ટ-ડિગ્રી રિલેટિવ્સ એટલે કે માતા-પિતા, બાળકો કે ભાઈ-બહેનના DNA પ્રોફાઇલ નેપાલ પોલીસ સાથે શૅર કરવામાં આવશે, જેથી ત્યાં મળેલા મૃતદેહોનાં સૅમ્પલ સાથે એને મૅચ કરી શકાય. આ પ્રક્રિયાથી પૂર હોનારતમાં જીવ ગુમાવનારા ભારતીયોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સોંપવામાં મદદ મળશે.