12 June, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૮૫ વર્ષના વડીલ અમૃતરાવ જોશી
નવી મુંબઈમાં રહેતા ૮૫ વર્ષના વડીલ અમૃતરાવ જોશીએ બસભાડામાં ૧૦૦ ટકા કન્સેશનની માગણી સાથે ‘ઘંટનાદ આંદોલન’ શરૂ કર્યું છે. બૃહદ મુંબઈની હદમાં તમામ વરિષ્ઠ નાગરિકોને NMMT અને BEST બસનાં ભાડાંમાં પૂરેપૂરું કન્સેશન મળે એવી માગણી તેમણે કરી છે જેના માટે નવી મુંબઈ અને પનવેલની પાલિકાની ઑફિસની બહાર તેઓ ઘંટનાદ આંદોલન કરી રહ્યા છે. સોમવાર અને મંગળવારે તેમણે નવી મુંબઈ નગરપાલિકાની કચેરી બહાર ઘંટનાદ કર્યો હતો. તેમણે અનેક વાર પાલિકાના કમિશનરને મળવા માટે વિનંતી કરી હતી, પરંતુ તેમને મળવા દેવામાં આવ્યા નહોતા. બુધવારે અને ગુરુવારે પનવેલ પાલિકાની કચેરી સામે આંદોલન કરવાની તૈયારી તેમણે દર્શાવી છે. હાલમાં આધાર કાર્ડ પર દર્શાવેલા સરનામા મુજબ પાલિકાની હદમાં આવતા વરિષ્ઠ નાગરિકોને જ કન્સેશન આપવામાં આવે છે. આ આંદોલનને સજાગ નાગરિક મંચે ટેકો આપ્યો હતો.