મુંબઈનાં ૧૫ તળાવોનો જીર્ણોદ્ધાર થશે

16 February, 2026 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નૅશનલ પ્રોગ્રામ હેઠળ તળાવોને પ્રદૂષણમુક્ત બનાવવાની તૈયારી

ડિંગેશ્વર તળાવ, ચારકોપ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) નૅશનલ લેક કન્ઝર્વેશન પ્લાન હેઠળ મુંબઈનાં ૧૫ તળાવોની જાળવણી અને રીસ્ટોરેશન કરશે. ટૂંક સમયમાં ફીઝિબિલિટી સ્ટડી, પાણીની ગુણવત્તાની તપાસ અને તળાવોના સર્વે માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે.

BMCએ જણાવ્યું હતું કે ‘અત્યારે ત્રણ તળાવોનું રીસ્ટોરેશન ચાલી રહ્યું છે અને બીજા એક તળાવ માટે ટેન્ડર આપી દેવામાં આવ્યું છે. મોટા ભાગનાં તળાવો P-નૉર્થ વૉર્ડમાં છે. કન્સલ્ટન્ટની નિમણૂક બાદ તળાવોનું પરીક્ષણ કરવામાં આવશે. તળાવોમાં ઠલવાતા ગટરના પાણીના સ્રોત તેમ જ તળાવોની આસપાસ બ્યુટિફિકેશન બાબતે પણ નિર્ણય લેવામાં આવશે.’

આ તળાવોની માલિકી રેવન્યુ વિભાગ અને અન્ય સરકારી એજન્સી પાસે હોવાથી તેમની પાસેથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) લેવામાં આવશે.

કુર્લામાં શીતલ તળાવ, સાયન તળાવ અને ચારકોપના ડિંગેશ્વર તળાવનું કામ ચાલુ છે, જ્યારે બાંદરા તળાવ માટે ટેન્ડર આપી દેવામાં આવ્યું છે.

કન્ઝર્વેશન પ્લાન હેઠળ તળાવને પ્રદૂષણમુક્ત બનાવવું, કેચમેન્ટ વિસ્તારમાં સમારકામ અને સફાઈ ઉપરાંત તળાવની આસપાસ ઇકો ડેવલપમેન્ટ કરવામાં આવશે. આ કામ BMCના પર્યાવરણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે.

brihanmumbai municipal corporation mumbai mumbai news