15 July, 2026 01:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશોટ
મુંબઈ (Mumbai) નજીક મહારાષ્ટ્ર (Maharashtra)ના પાલઘર (Palghar) જિલ્લામાં આવેલા મીરા રોડ (Mira Road) સ્થિત દાલમિયા સ્કૂલ (Dalmia School)માં બુધવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગને કારણે (Mumbai Fire) શાળાની ઇમારતના ઉપરના માળને ભારે નુકસાન થયું છે, જેમાં લાઈબ્રેરી, ઓડિટોરિયમ, પ્રયોગશાળાઓ અને કેટલાક વર્ગખંડો બળીને ખાખ થઈ ગયા છે. શાળા પ્રશાસન દ્વારા તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હોવાથી આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ નથી.
મીરા રોડમાં આવેલી દાલમિયા સ્કૂલમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં સ્કૂલના પરિસરને ભારે નુકસાન થયું છે. જોકે, સદ્નસીબે આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પણ આગને લીધે વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.
સોશિયલ મીડિયા (Social Media) પર સામે આવેલા ઘટનાસ્થળના વીડિયોમાં આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટા ઉડતા જોઈ શકાય છે, જ્યારે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરો ઉપરના માળ સુધી પહોંચવા અને આગ ઓલવવાની કામગીરી કરવા માટે હાઇડ્રોલિક સીડીનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, સવારે છ વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના સામે આવી હતી. મીરા રોડમાં ઇસ્કોન મંદિર (ISKCON Temple) પાસે આવેલ આ શાળાના ઉપરના માળેથી ધુમાડાના ગોટા નીકળતા જોવા મળ્યા હતા અને જોતજોતામાં આગની જ્વાળાઓએ ઇમારતના મોટા ભાગને લપેટમાં લઈ લીધો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈ (PTI)ના અહેવાલ મુજબ, શાળા પ્રશાસને તાત્કાલિક તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોને પરિસરમાંથી બહાર કાઢ્યા હતા અને ખાતરી કરી હતી કે કોઈ પણ વ્યક્તિ ઇમારતની અંદર ફસાયેલી ન રહે. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, આ ઘટનામાં કોઈના પણ મૃત્યુ અથવા ઈજા થવાના સમાચાર નથી.
મીરા ભાયંદર મહાનગરપાલિકા (Mira Bhayandar Municipal Corporation)ના ચીફ ફાયર ઓફિસર પ્રકાશ બોરાડેએ પીટીઆઈને જણાવ્યું હતું કે, આગ સૌપ્રથમ આ શૈક્ષણિક સંસ્થાના ઓડિટોરિયમમાં લાગી હતી અને ત્યારબાદ તે છઠ્ઠા માળે આવેલા બેટરી બેકઅપ રૂમમાં ફેલાઈ ગઈ હતી. આગની આ દુર્ઘટનામાં આ બંને વિસ્તારો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે.
ફાયર ઓફિસર પ્રકાશ બોરાડેએ ઉમેર્યું કે, આગ પર કાબૂ મેળવવા માટે કુલ આઠ ફાયર ફાઈટર અને ચાર વોટર ટેન્કર તૈનાત કરવામાં આવ્યા હતા. ફાયર ફાઇટરોએ લગભગ ૯૦ મિનિટ સુધી આગની જ્વાળાઓ સામે લડત આપીને આખરે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
આગ શાળાના અન્ય ભાગોમાં ન ફેલાય તે માટે ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઓલવવાની કામગીરી સતત કેટલાક કલાકો સુધી ચાલુ રાખી હતી. આગ કાબૂમાં આવ્યા બાદ કૂલિંગ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કૂલિંગ ઓપરેશન પૂર્ણ થયા બાદ આગ કયા કારણે લાગી તે શોધવા માટે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે.
આ અકસ્માતને કારણે શાળાના શૈક્ષણિક માળખાને મોટું નુકસાન થયું છે, જેમાં શાળાની લાઈબ્રેરી, ઓડિટોરિયમ, વિજ્ઞાન પ્રયોગશાળાઓ અને અસંખ્ય વર્ગખંડો પ્રભાવિત થયા છે. સત્તાવાળાઓ દ્વારા ઇમારતને થયેલા માળખાકીય નુકસાનનું વધુ મૂલ્યાંકન કરવામાં આવશે.