12 May, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : સતેજ શિંદે
અંધેરી ઈસ્ટ અને વેસ્ટને જોડતા અંધેરી રેલવે-સ્ટેશન પાસે આવેલા ગોપાલકૃષ્ણ ગોખલે બ્રિજનું કામ ૧૦૦ ટકા પૂરું થઈ ગયું છે એટલે બે વર્ષ કરતાં વધુ સમયથી બંધ એક તરફનો બ્રિજ આજે ખુલ્લો મૂકવામાં આવશે. આજે સાંજે પાંચ વાગ્યે રાજ્યના સંસ્કૃતિપ્રધાન આશિષ શેલાર અને કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢા સહિતના મહાનુભાવોની હાજરીમાં બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. બ્રિજની બંધ સાઇડ ખૂલી ગયા બાદ અંધેરી ઈસ્ટ અને વેસ્ટમાં જવા અને આવવા માટેના સમયમાં ૧૫થી ૨૦ મિનિટ બચશે. ઉલ્લેખનીય છે કે બ્રિજનો વેસ્ટથી ઈસ્ટ તરફ જવાનો માર્ગ ગયા વર્ષે ૨૭ ફેબ્રુઆરીએ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પણ ઈસ્ટથી વેસ્ટમાં જવાના માર્ગનું કામ બાકી હતું. આજથી આ માર્ગ પણ ચાલુ થઈ જશે.