મીરા રોડની હાઉસહેલ્પની હત્યાનો કેસ ઉકેલાયો, વિશાખાપટનમથી પકડાયો ટીવી-ઍક્ટર

29 March, 2026 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહિલાના દીકરાને જ્યારે ખબર પડી કે આશિષ મેશ્રામ શારીરિક સુખની માગણી કરતો રહે છે ત્યારે તેને માર્યો હતો અને ચેતવ્યો પણ હતો કે મારી મમ્મીથી દૂર રહેજે

મીરા રોડના ચંદ્રેશ ઍકૉર્ડ બિલ્ડિંગમાં હત્યા કર્યા બાદ આરોપી નાસી ગયો હતો. પોલીસે ત્યાર બાદ તપાસ ચાલુ કરી હતી.

મીરા રોડ પોલીસે ચંદ્રેશ ઍકૉર્ડ હાઉસિંગ સોસાયટીના ત્રીજા માળના ફ્લૅટમાં થયેલી હાઉસહેલ્પની હત્યાનો કેસ ઉકેલી નાખ્યો છે. વિશાખાપટનમના રેલવે-સ્ટેશન પરથી ટીવી-સિરિયલના અભિનેતા આશિષ મેશ્રામની એ હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આશિષ બુધવારે રાત્રે તેને ત્યાં ઘરકામ કરતી ૩૭ વર્ષની સુમન કાંબળેને ગળા, છાતી અને પેટ પર ચાકુના વાર કરીને ભાગી ગયો હતો. મુખ્ય શંકાસ્પદ તરીકે તેની ઓળખ જાહેર થયા પછી મીરા રોડ પોલીસે તેને શોધવા અને ધરપકડ કરવા માટે ટીમો રવાના કરી હતી.

મીરા રોડ પોલીસે એ પણ કન્ફર્મ કર્યું હતું કે આરોપીએ ભૂતકાળમાં સુમન કાંબળે પાસે શારીરિક સુખની માગણી કરી હતી જે તેણે વારંવાર નકારી કાઢી હતી. સુમન કાંબળે પરિણીત હતી અને તેને ૪ બાળકો છે જેઓ મીરા રોડના કાશીમીરા વિસ્તારમાં રહે છે. તેનો પતિ મોચી છે, જ્યારે મોટો દીકરો ખાનગી કંપનીમાં કામ કરે છે. સુમન નવેક ઘરોમાં કામ કરીને તેના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. તે છેલ્લાં ૩ વર્ષથી આશિષ મેશ્રામના ઘરે કામ કરતી હતી.

જ્યાં હત્યા થઈ હતી એ ફ્લૅટમાં અગાઉ આશિષ મેશ્રામનો મોટો ભાઈ રહેતો હતો, પરંતુ લગભગ દોઢ વર્ષ પહેલાં આરોપી આશિષ પણ ત્યાં રહેવા ગયો હતો. પોલીસમાં નોંધાવવામાં આવેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) મુજબ આશિષ મેશ્રામે જાન્યુઆરીમાં સુમન કાંબળેના દીકરાને ફોન કર્યો હતો અને ધમકી આપી હતી કે જો સુમન તેના ફ્લૅટમાં કામ કરવાનું ચાલુ નહીં રાખે અથવા જો તેના જાતીય પ્રસ્તાવોને નકારશે તો તેને મારી નાખવામાં આવશે. આ સમયે સુમનના દીકરાએ તેનો વિરોધ કર્યો હતો. સુમન કાંબળેએ આખરે એ વિશે ખુલાસો કર્યો અને તેના પરિવારને કહ્યું કે તેણે આશિષના ઘરે કામ કરવાનું બંધ કરી દીધું છે કારણ કે તે શારીરિક સુખની માગણી કરતો હતો. આ સાંભળીને તેનો દીકરો ગુસ્સે થયો હતો અને આશિષને શોધવા ગયો હતો, પરંતુ એ વખતે તે ફ્લૅટ પર મળ્યો નહોતો. થોડા દિવસ પછી આશિષને જોયો ત્યારે તેણે તેને માર માર્યો હતો અને તેની માતાથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. જોકે પાછળથી આશિષના મોટા ભાઈએ સુમનને ખાતરી આપી કે તેનો ભાઈ હવે તેની સાથે રહેતો નથી અને તેણે તેના ઘરે કામ શરૂ કરવું જોઈએ. બુધવારે રાત્રે સુમન કામ કરવા ફ્લૅટમાં ગઈ ત્યારે આશિષ ફ્લૅટમાં ઘૂસી ગયો હતો અને રીતે તેની હત્યા કરી હતી.

mumbai news mumbai mira road mumbai crime news Crime News murder case mumbai police