ઈશ્વર પણ ખુશ થઈ જાય એવું સેલિબ્રેશન

15 April, 2022 08:42 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

મહાવીર જન્મકલ્યાણકની અનોખી ઉજવણી કરતા શ્રી મહાવીર મિત્ર મંડળ આગ્રીપાડાએ કોરોનામાં ઘરમાં જ રહેલાં દિવ્યાંગ બાળકોને કરાવી ધાર્મિક યાત્રા

દિવ્યાંગ બાળકોને ખાસ ધાર્મિક યાત્રા કરાવીને તેમને યાદ રહી જાય એવી ભેટ અપાઈ હતી

મહાવીર જયંતી નિમિત્તે દિવ્યાંગ બાળકો માટે શ્રી મહાવીર મિત્ર મંડળ-આગ્રીપાડા દ્વારા એક અનોખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાવીર જન્મકલ્યાણકની અનોખી ઉજવણી વિશે માહિતી આપતાં શ્રી મહાવીર મિત્ર મંડળ-આગ્રીપાડાના કન્વીનર સુરેશ સાવલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષથી કોઈ પર્વની ઉજવણી થઈ નહોતી. સામાન્ય લોકો બે વર્ષમાં કોઈક દેરાસર, ઉપાશ્રય અને બહાર દર્શન કરવા ગયા હતા; પરંતુ શારીરિક રીતે અક્ષમ બાળકો બે વર્ષ દરમિયાન ક્યાંય જઈ શક્યાં નથી. એથી મહાવીર જન્મકલ્યાણકના ઉપક્રમે ૧૪ અને ૧૫ એપ્રિલે બે દિવસની તીર્થયાત્રાનું આયોજન આ દિવ્યાંગ બાળકો માટે કરવામાં આવ્યું છે. એમાં ૭૫ દિવ્યાંગ બાળકો પોતાના એક વાલી સાથે યાત્રા કરી રહ્યાં છે. ત્યાં દર્શન કરાવ્યા બાદ અમે સાંજે તેમને લોનાવલામાં આવેલા નારાયણીધામમાં પણ દર્શન કરાવ્યાં હતાં. આજે સવારે પુણેમાં આવેલા બાલાજી મંદિરમાં પણ દર્શન કરવા લઈ જવાના છીએ.’

આ દિવ્યાંગ બાળકોના હાથે પૂજા પણ કરાવી હતી એમ જણાવીને સુરેશભાઈએ કહ્યું હતું કે ‘પુણે ખાતે આ યાત્રા પાર્શ્વ પ્રજ્ઞાલય, કાત્રજ તીર્થમાં કરાવવામાં આવી છે. આ યાત્રાના બન્ને દિવસ પ્રભુભક્તિ અને ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના જીવનમાં આનંદ લાવવાનો તથા જિનશાસન પ્રત્યે જોડવાનો પ્રયાસ થશે. આ બે દિવસ તેમને ખુશી અને મજા મળે એ માટે વિવિધ રમતો સાથે ઇનામો અને મનોરંજનનો કાર્યક્રમ પણ રાખ્યો છે.’

મંડળના કન્વીનર ભરત ગડાએ કહ્યું હતું કે ‘આ સંપૂર્ણ યાત્રાની મહત્તા, માનવીય સંવેદના, સમાજ પ્રત્યેની ઋણભાવના જાગૃત કરતી યાત્રા વિશે બાળકોને સમજ પણ આપવામાં આવી હતી. બે વર્ષે બહાર આવીને આ બાળકોના ચહેરા પર ખૂબ ખુશી અને ઉત્સાહ જોવા મળ્યાં હતાં.’

mumbai mumbai news byculla mumbai central preeti khuman-thakur