13 March, 2026 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
રસ્તા પર જ વાહનચાલકોને રોકીને તેમની પાસેથી પહેલાંના ઈ-ચલાનના ફાઇન વસૂલવા ટ્રાફિક ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ દ્વારા કરાતા દબાણ અને જો એ ફાઇન ન ભર્યો તો દસ્તાવેજો કે પછી વાહન જપ્ત કરવાની અપાતી ધમકીઓને પગલે ટ્રાન્સપોર્ટ અસોસિએશને કરેલી રજૂઆતને લીધે ઍડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (સ્ટેટ ટ્રાફિક) પ્રવીણ સાળુંખેએ મહારાષ્ટ્રના તમામ ટ્રાફિક-યુનિટ્સને એક સર્ક્યુલર ઇશ્યુ કરીને નિર્દેશ આપ્યો છે કે તેઓ રસ્તાઓ પર બાકી રહેલા ઈ-ચલાન ચૂકવવા માટે મોટરિસ્ટોને દબાણ ન કરે અથવા ગેરકાયદે ચુકવણી માટે તેમને ધમકાવે નહીં. સર્ક્યુલર મુજબ બાકી દંડ મોટરચાલક દ્વારા સ્વેચ્છાએ ચૂકવવામાં આવે તો જ સ્વીકારવામાં આવશે. એમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વાહનો કોર્ટના આદેશથી જ જપ્ત કરી શકાય છે.
સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે બાકી દંડ વસૂલવા અને વાહનો જપ્ત કરવા માટે એક સ્ટૅન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર ઇશ્યુ કરવામાં આવી છે અને તમામ ટ્રાફિક-યુનિટોએ એનું પાલન કરવું જોઈએ. ટ્રાફિક પોલીસ કર્મચારીઓને વાહનચાલકો સાથે નમ્ર વર્તન કરવાની સૂચના આપવામાં આવી હતી.
એક અલગ સર્ક્યુલરમાં ટ્રાફિક વિભાગે તમામ એકમોને સૂચના આપી છે કે જ્યાંથી અધિકૃત સ્કૂલ-બસો બાળકોને ઉપાડે છે અથવા છોડે છે ત્યાં તેમને નો-પાર્કિંગ ચલાન ફટકારવામાં ન આવે. જોકે તેમણે કહ્યું હતું કે શાળાનાં બાળકોને લઈ જતાં અનધિકૃત વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સર્ક્યુલરમાં ટ્રાફિક-યુનિટ્સને એ પણ સૂચના આપવામાં આવી હતી કે નૅશનલ પરમિટ ધરાવતી પૅસેન્જર-બસોને મુસાફરો બસમાં ચડે કે ઊતરે એ સમય માટે નો-પાર્કિંગ ચલાન જારી ન કરવાં જોઈએ.