09 March, 2026 08:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજ્યના ટ્રાફિક ડિપાર્ટમેન્ટે અકસ્માતો ઓછા થાય અને લોકોનો જીવ બચે અથવા અકસ્માત વખતે ઝડપી પગલાં લઈને સારવાર આપી શકાય એ માટે અનેક પગલાં લીધાં છે. એમ છતાં રાજ્યમાં માર્ગ-અકસ્માતમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. તેથી રાજ્ય પરિવહન વિભાગે ૨૦૩૦ સુધીમાં માર્ગ-અકસ્માતોમાં ૫૦ ટકા ઘટાડો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. રવિવારે રાજ્યની હાઇવે પોલીસે આ બાબતે ડેટા રિલીઝ કરીને એની વિગતો આપી હતી.
એ ડેટામાં જણાવ્યા મુજબ નાગપુર-મુંબઈ સમૃદ્ધિ મહામાર્ગ પર ૨૦૨૫માં અકસ્માતો અને એને કારણે થતાં મૃત્યુમાં ભારે વધારો થયો હતો, જ્યારે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર નાના અકસ્માતોમાં વધારો થયો હતો. જોકે ઓવરઑલ અકસ્માતોમાં નજીવો ઘટાડો થયો હતો એમ અધિકારીઓએ રવિવારે મહારાષ્ટ્ર હાઇવે પોલીસના પ્રોવિઝનલ ડેટાને ટાંકીને જણાવ્યું હતું.
હાઇવે પોલીસના ડેટા મુજબ સમૃદ્ધિ મહામાર્ગ પર ૨૦૨૫માં ૧૮૫ અકસ્માતો નોંધાયા હતા, જે ૨૦૨૪ના ૧૩૭ના આંકડાથી ૩૫ ટકા વધુ છે. સમૃદ્ધિ કૉરિડોર પર ૨૦૨૪માં ૯૬ જીવલેણ અકસ્માતો થયા હતા જેમાં ૧૨૬ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે ૨૦૨૫માં ૧૨૮ અકસ્માત થયા હતા અને એમાં ૧૫૨ લોકોનાં મોત થયાં હતાં. ગંભીર ઈજાઓ સાથે સંકળાયેલા અકસ્માતો પણ ૨૦૨૫માં ૨૩ હતા એ ૨૦૨૫માં બમણા થઈને ૪૬ થયા હતા.
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ૨૦૨૫માં ૧૮૭ અકસ્માતો નોંધાયા હતા, જે ૨૦૨૪માં ૧૯૧ અકસ્માતો કરતાં બે ટકા ઓછા હતા. નાની ઈજાના અકસ્માતોમાં ૧૨ ટકાનો વધારો થયો હતો અને આવા અકસ્માતોમાં ઈજા થઈ હોય એવા લોકોની સંખ્યા ૪૨ ટકા વધીને ૬૫થી ૯૨ થઈ હતી. એક્સપ્રેસવે પર જીવલેણ અકસ્માતો ૨૦૨૪ના ૭૪થી ઘટીને ૨૦૨૫માં ૬૦ થયા હતા, જ્યારે મૃત્યુઆંક ૯૦થી ઘટીને ૬૮ થયો હતો.