09 May, 2026 09:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
મહારાષ્ટ્ર સરકારે મિલકતની વહેંચણીની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે એક ઐતિહાસિક સુધારો કર્યો છે. નવા નિયમ મુજબ હવે રાજ્યનો કોઈ પણ નાગરિક પોતાના વસિયતનામાની રાજ્યની કોઈ પણ સબ-રજિસ્ટ્રાર ઑફિસમાં માત્ર ૧૦૦ રૂપિયાના નજીવા દરે નોંધણી કરાવી શકશે.
અગાઉ મિલકત જે વિસ્તારમાં હોય ત્યાં જ નોંધણી કરાવવી પડતી હતી, પરંતુ હવે નાગરિક પોતાની સુવિધા મુજબ રાજ્યની કોઈ પણ સબ-રજિસ્ટ્રાર ઑફિસ પસંદ કરી શકશે. સામાન્ય નાગરિક પરનો આર્થિક બોજ ઘટાડવા માટે વસિયતનામાની રજિસ્ટ્રેશન-ફી માત્ર ૧૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
સરકારે આશા વ્યક્ત કરી છે કે સરળ નોંધણી-પ્રક્રિયાને કારણે ભવિષ્યમાં મિલકત વિષયક કૌટુંબિક વિવાદોમાં નોંધપાત્ર ઘટાડો થશે અને લોકો કાયદાકીય રીતે વારસાઈ નક્કી કરવા પ્રેરાશે.
મહારાષ્ટ્રના મહેસૂલ વિભાગના જણાવ્યા અનુસાર આ સુધારો ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે તેઓ હવે મુસાફરીના કષ્ટ વિના નજીકની ઑફિસમાં દસ્તાવેજ કરી શકશે. આ નિર્ણયથી પ્રૉપર્ટી-ડિસ્ટ્રિબ્યુશનની પ્રક્રિયામાં ડિજિટાઇઝેશન અને સરળતા વધશે.