Maharashtra Monsoon: હવે આ ‘ટાયફૂન બાવી’ શું છે? એની રાજ્યના મોન્સૂન પર શું અસર થશે?

10 July, 2026 03:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Monsoon: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી થઈ ગઈ છે. એટલે મુશળધાર વરસાદની તો કોઈ જ શક્યતા નથી.આગામી ૨થી ૩ દિવસ રાજ્યમાં વરસાદનું જોર ઓછું રહેવાની શક્યતા છે.

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે મુંબઈ સહિત મહારાષ્ટ્રને બરાબરનું ઘમરોળ્યું (Maharashtra Monsoon) હતું. હવે જાણે વરસાદે પોરો ખાધો છે. કારણ કે રાજ્યભરમાં મોન્સૂનની તીવ્રતા કેટલેક અંશે ઓછી થઈ હોય તેવું જણાઈ રહ્યું છે. આવનાર સમયમાં કેવું વાતાવરણ રહેશે તે બાબતે વેધર ડીપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર આગામી ૨થી ૩ દિવસ રાજ્યમાં વરસાદનું જોર ઓછું રહેવાની શક્યતા છે.

પહેલાં મુંબઈને પાણી પાણી કરીને મરાઠવાડા અને વિદર્ભ તરફ વળેલા વરસાદે (Maharashtra Monsoon) હવે બ્રેક લીધો હોય તેવું લાગી રહ્યું છે. મુંબઈ સહિત કોંકણ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદનઉ જોર ઓરસી ગયું છે.

કેમ અચાનક વરસાદનું જોર ઓછું થઈ ગયું?

એકાએક સાંબેલાધાર વરસ્યા પછી અચાનક વરસાદ (Maharashtra Monsoon)ની વિશ્રાંતિ બાબતે કારણ એમ છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. મોન્સૂન અત્યારે ઝારખંડ અને મધ્યપ્રદેશ થઈને ઉત્તર પ્રદેશ પહોંચ્યું છે. જેથી ઉત્તર ભારતમાં ચક્રવાતી પવનો ફૂંકાઈ રહ્યા છે. બીજી તરફ અરબી સમુદ્રમાં વેધર સિસ્ટમ નબળી પડી છે જેથી મહારાષ્ટ્ર તરફ આવતા ભેજવાળા પવનોનું પ્રમાણ ઘટ્યું છે. પરિણામે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી થઈ ગઈ છે. એટલે મુશળધાર વરસાદની તો કોઈ જ શક્યતા નથી.

રાજ્યમાં કયા પ્રદેશમાં વરસાદની શક્યતા છે?

કોંકણના દરિયાકાંઠે, નાસિક અને અહલ્યાનગરમાં હજી ભેજ હોવાથી ત્યાં હળવો વરસાદ (Maharashtra Monsoon) થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત, મધ્યપ્રદેશ તરફથી આવતા ભેજને કારણે વિદર્ભમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે.

અલ નીનો (El Nino) શું છે?

અલ નીનો એ દરિયાની સપાટી ગરમ થવાની એક કુદરતી ઘટના છે. પ્રશાંત મહાસાગરના વિષુવવૃત્તીય ક્ષેત્રમાં (ખાસ કરીને પેરુ દેશની નજીક) સમુદ્રની સપાટીનું પાણી સામાન્ય કરતાં ઘણું વધારે ગરમ થઈ જાય છે. આ ગરમીને કારણે વૈશ્વિક પવનોની ડિરેક્શન બદલાઈ જાય છે. ભારત માટે આ ચિંતાનો વિષય બને છે કારણ કે અલ નીનોના કારણે ભારતમાં ચોમાસું નબળું પડે છે અને દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે.

ટાયફૂન બાવી (Typhoon Bavi) શું છે?

ટાયફૂન એ વાસ્તવમાં તીવ્ર ચક્રવાત (Cyclonic Storm) છે. પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં (જાપાન, ચીન, ફિલિપિન્સ નજીક) આવતા વાવાઝોડાને `ટાયફૂન` કહેવામાં આવે છે. `બાવી` એ આ ચોક્કસ વાવાઝોડાને આપેલું નામ છે. સમુદ્રનું પાણી ગરમ થવાને કારણે ત્યાં હવાનું ભારે લો-પ્રેશર સર્જાય છે, જે ગોળ-ગોળ ફરતા અત્યંત વેગીલા પવનો અને વાદળોનું સ્વરૂપ ધારણ કરે છે. જે દેશોના દરિયાકિનારે પહોંચે ત્યાં થોડા દિવસો માટે ભારે તબાહી, અતિભારે વરસાદ (Maharashtra Monsoon) અને દરિયામાં ઊંચા મોજા ઉછાળે છે.

ભારત પર અસર કરશે `ટાયફૂન બાવી`?

અત્યારે પ્રશાંત મહાસાગરમાં `ટાયફૂન બાવી` (Typhoon Bavi) સક્રિય થયું હોવાની વાતોએ વેગ પકડ્યો છે. કહે છે કે અત્યારે ટાયફૂન બાવી ફિલિપિન્સ પાસે છે અને તે ચીન તરફ આગળ વધી રહ્યું છે. આશરે ૧,૦૦૦ કિલોમીટર જેટલો વિશાળ ઘેરાવો ધરાવતા આ ટાયફૂનની ભારત પર કોઈ સીધી અસર નહીં થાય તેવું વેધર એક્સપર્ટસ કહી રહ્યા છે. જોકે આ વાવાઝોડાની તીવ્રતાને કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના પવનો પર આડકતરી રીતે અસર પડી શકે છે. ટાયફૂનને લીધે બંગાળની ખાડીના પવનો ખેંચાઈ જવા, લો પ્રેશરની તીવ્રતા ઓછી થવી તેમજ પવનોની દિશા બદલાવી વગેરે સંભાવનાઓ છે, જેના કારણે ભેજવાળા પવનોની દિશામાં પણ ફરક પડી શકે છે.

`અલ નીનો` અને `ટાયફૂન`ની બેવડી અસર?

અમૂક હવામાન શાસ્ત્રીઓ (Maharashtra Monsoon)ના કહ્યા પ્રમાણે `અલ નીનો` (El Nino) અને `ટાયફૂન બાવી` આ બંને પરિબળોની સંયુક્ત અસર ભારતીય ચોમાસા પર જોવા મળી શકે છે. એક તરફ ઓલરેડી `અલ નીનો`ને કારણે દેશમાં વરસાદ પર વિપરીત અસર થવાની આશંકા હતી, એની વચ્ચે હવે ટાયફૂનને કારણે પવનોની પેટર્ન બદલાશે તો વરસાદ ઓછો થઈ શકે છે. વરસાદ સાવ બંધ તો નહીં જ થઈ જાય, પણ પવનોની ડિરેક્શન બદલાવાને કારણે ચોમાસાના વિતરણમાં ફરક પડી શકે છે.

mumbai news mumbai monsoon news mumbai monsoon Weather Update mumbai weather indian meteorological department