26 May, 2026 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ફાઇલ તસવીર
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે ભારતમાં પણ દેખાઈ રહી છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાંથી પેટ્રોલ અને ડીઝલની અછતના અહેવાલો સામે આવી રહ્યા છે, જ્યારે ઈંધણના ભાવ સતત વધી રહ્યા છે. તાજેતરમાં, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, અને હવે સીએનજીના ભાવમાં પણ વધારો નોંધવામાં આવ્યો છે. ઈંધણની વધતી કિંમત માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ કૃષિ અને પરિવહન ક્ષેત્રોને પણ અસર કરી રહી છે. મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં ઈંધણ કટોકટી અંગેની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. મંત્રી છગન ભુજબળે જણાવ્યું હતું કે રાજ્ય પાસે આગામી મહિના સુધી ચાલે તેટલા પેટ્રોલ અને ડીઝલનો પૂરતો ભંડાર છે. જોકે, અમુક જિલ્લાઓમાં ઈંધણની અછત સામે આવી હોવાના અહેવાલો બાદ આ મુદ્દા પર ચિંતાઓ વધુ તીવ્ર બની છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પેટ્રોલ અને ડીઝલની અછત અંગે નિવેદન બહાર પાડ્યું. તેમણે જણાવ્યું હતું કે પુરવઠા સંબંધિત સમસ્યાઓને કારણે અમુક જિલ્લાઓમાં કામચલાઉ અછત ઊભી થઈ છે. વધુમાં, તેમણે ડુંગળી સંબંધિત મુદ્દા પર પણ પ્રતિક્રિયા આપી. મુખ્ય પ્રધાન ટિપ્પણી કરી, "કેન્દ્ર સરકારે ગઈ કાલે જ ડુંગળીના ભાવમાં રૂ. 3.50નો વધારો કર્યો છે. કાલે સાંજે દિલ્હીમાં ડુંગળીના મુદ્દા પર એક બેઠક યોજાવાની છે. કેટલાક વ્યક્તિઓ કોઈ વાજબી કારણ વગર આ મુદ્દાનું રાજકારણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ડુંગળીના ભાવનો પ્રશ્ન તમારા કાર્યકાળ દરમિયાન પણ ઉભો થયો હતો." વિપક્ષ પર નિશાન સાધતા તેમણે ભારપૂર્વક કહ્યું કે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન રાજકીય હેતુઓથી કરવામાં આવી રહ્યા છે. ફડણવીસે કટાક્ષ કર્યો, કે “એવા લોકો પણ આંદોલન કરી રહ્યા છે કે જેમની સામે કાંદા કાપે તો પણ તેમના આંખોમાંથી આંસુ ન વહે. કાલે દિલ્હીમાં કાંદાના ભાવને લઈને બેઠક છે.” તેમણે આકરા પ્રહારો કર્યા, અને કહ્યું કે ડુંગળી કાપવાથી પણ વિપક્ષની આંખોમાં આંસુ નહીં આવે.
આ દરમિયાન, ધારાસભ્ય રોહિત પવારે ડુંગળીના ખેડૂતોને ટેકો આપતી વખતે સરકારના વલણ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને તેમના ઉત્પાદન માટે યોગ્ય ભાવ મળી રહ્યા નથી. રોહિત પવારે જણાવ્યું હતું કે, “આજે, ખેડૂત સંગઠનો અને વિપક્ષી નેતાઓ ખેડૂતો સાથે એકતામાં ઉભા છે. ખેડૂતોને ડુંગળી માટે પ્રતિ કિલોગ્રામ 5 થી 6 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે, જ્યારે ઉત્પાદન ખર્ચ આશરે 18 રૂપિયા છે. આ દર ખેડૂતો માટે હાનિકારક છે.” બધાની નજર હવે ડુંગળીના ભાવ અને ઇંધણ સંકટ અંગે દિલ્હીમાં યોજાનારી આગામી બેઠક પર રહી છે.