16 May, 2026 08:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર સરકારે ઍરલાઇન્સ કંપનીઓને મોટી રાહત આપતાં એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે વિમાનના ફ્યુઅલ પરના વૅલ્યુ ઍડેડ ટૅક્સ (VAT)માં ધરખમ ઘટાડો કર્યો છે. રાજ્યમાં વૅટનો દર ૧૮ ટકાથી ઘટાડીને હવે ૭ ટકા કરી દેવામાં આવ્યો છે. આ નવો દર ૧૫ મેથી આગામી છ મહિના સુધી અમલમાં રહેશે.
મહારાષ્ટ્ર વૅલ્યુ ઍડેડ ટૅક્સ ઍક્ટ ૨૦૦૨ હેઠળ લેવાયેલો આ નિર્ણય ૧૫ મેથી ૧૪ નવેમ્બર સુધી અમલી રહેશે. જો સરકાર આ સમયગાળાને લંબાવશે નહીં તો ત્યાર બાદ જૂનો ૧૮ ટકાનો દર ફરીથી લાગુ થઈ જશે.
VATમાં ૧૧ ટકાના ઘટાડાને કારણે ઍરલાઇન્સનો ફ્યુઅલનો ખર્ચ ઘટશે. ફ્યુઅલ સસ્તું થવાથી રાજ્યમાં ઍર કનેક્ટિવિટી સુધરવાની શક્યતા છે. જો ઍરલાઇન્સ આ ફાયદો મુસાફરો સુધી પહોંચાડે તો ઍર-ટિકિટના ભાવમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. VATમાં કરવામાં આવેલા આ ઘટાડાને કારણે રાજ્યની તિજોરીને અંદાજે ૬૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થશે.