ધર્માંતરણવિરોધી કાયદો અમલમાં મૂકનાર તેરમું રાજ્ય બન્યું મહારાષ્ટ્ર

03 August, 2026 07:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો ધર્માંતરણ સ્વૈચ્છિક હોવાનો દાવો કરાય તો એ સાબિત કરવાની જવાબદારી ધર્મપરિવર્તન કરનાર વ્યક્તિ કે તેને મદદ કરનારની રહેશે.

મહારાષ્ટ્ર વિધાનભવનની ફાઇલ તસવીર

છેતરપિંડી કે લગ્નના બહાને કરાવવામાં આવતા ધર્માંતરણ બદલ હવે જેલના સળિયા ગણવા પડશે

મહારાષ્ટ્ર સરકારે ૩૦ જુલાઈએ પોતાના સત્તાવાર ગૅઝેટમાં પ્રકાશિત કરીને મહારાષ્ટ્ર ફ્રીડમ ઑફ રિલિજન ઍક્ટને અમલી બનાવી દીધો છે. આ સાથે જ મહારાષ્ટ્ર ધર્માંતરણવિરોધી કાયદો અમલમાં લાવનાર દેશનું તેરમું રાજ્ય બની ગયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ૧૭ જુલાઈએ આ ખરડાને મંજૂરી આપવામાં આવી હતી.

આ કાયદામાં બળજબરી, લાલચ, કપટ, છેતરપિંડી કે લગ્નના બહાને કરાવવામાં આવતા ધર્માંતરણને દખલપાત્ર તેમ જ બિનજામીનપાત્ર ગુનો ગણવામાં આવ્યો છે. કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ ૭ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. જો કોઈ આંતરધર્મીય લગ્ન દરમ્યાન લાલચ કે બળજબરીથી ધર્માંતરણ થયું હોવાનો આક્ષેપ થાય અથવા પરિવારજનો વાંધો ઉઠાવે તો એ લગ્ન અને ધર્માંતરણને ગેરકાયદે ગણવામાં આવશે. આ ઉપરાંત ધર્મપરિવર્તન કરવા ઇચ્છતી વ્યક્તિએ સંબંધિત અધિકારીને ૬૦ દિવસ પહેલાં નોટિસ આપવી ફરજિયાત રહેશે. નોટિસ મળ્યા બાદ અધિકારી એને જાહેર કરીને ૩૦ દિવસમાં વાંધા મગાવશે અને ધર્માંતરણ પાછળના હેતુ અને સંજોગો વિશે પોલીસ તપાસ કરાવશે. જો તપાસમાં ગેરરીતિ જણાશે તો ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra