14 February, 2026 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં એક જિલ્લાપરિષદની સ્કૂલમાં અપાતી આયર્નની દવાના ઓવરડોઝને કારણે ૧૯ વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ભદ્રાવતીના એક ગામમાં બનેલી આ ઘટનામાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓને દર સોમવારે આયર્નની દવાઓ આપવામાં આવે છે. આ સ્કૂલમાં મંગળવારે ટીચર નહોતા એ સમયે વિદ્યાર્થીઓએ જાતે જ વધારે પડતી દવાઓ લઈ લીધી હતી. એને લીધે ૧૯ વિદ્યાર્થીઓએ ઊબકા, ચક્કર અને બેચેની થતી હોવાની ફરિયાદ કરી હતી. બાળકોને ઍમ્બ્યુલન્સમાં નજીકની સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. ૧૬ વિદ્યાર્થીઓની તબિયત સારી છે અને ૩ વિદ્યાર્થીઓ હજી ઑબ્ઝર્વેશન હેઠળ હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું.
જિલ્લાપરિષદના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર પુલકિત સિંહે આ મામલે ઉચ્ચ સ્તરની તપાસનો આદેશ આપ્યો છે.