06 February, 2026 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડુંગરાળ વિસ્તારમાં રોડ-કનેક્ટિવિટી અને હેલ્થ-ફૅસિલિટીના અભાવે યુવકને ઝોળીમાં ઊંચકીને હેલ્થ-સેન્ટર સુધી લઈ જવો પડ્યો હતો.
આદિવાસી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમીને કારણે વધુ એક કરુણ ઘટના બની છે. જવ્હાર તાલુકાના તિલોંડા (આંબેપાડા) ગામના ૧૮ વર્ષના શૈલેષ વાગદાદાનું મંગળવારે ૪ ફેબ્રુઆરીએ વહેલી સવારે યોગ્ય રસ્તાના અભાવે સમયસર તબીબી સારવાર ન મળતાં મૃત્યુ થયું હતું.
તિલોંડામાં રહેતો શૈલેષ ગંભીર બીમારીથી પીડાતો હોવાનું કહેવાય છે. જોકે લગભગ ૪ કિલોમીટર સુધી ગામને જોડતો કોઈ મોટરરસ્તો ન હોવાથી રહેવાસીઓને તેને મુશ્કેલ ડુંગરાળ પ્રદેશમાંથી ઝોળીમાં લઈ જઈને હેલ્થ-સેન્ટર સુધી પહોંચવાની ફરજ પડી હતી. જોકે તેને ઊંચકીને હેલ્થ-સેન્ટર પહોંચતાં સુધીમાં મોડું થઈ ગયું હતું એટલે શૈલેષને યોગ્ય સારવાર મળે એ પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું. તિલોંડા જેવા આદિવાસી પાડાઓ ડુંગરાળ વિસ્તારમાં હોવાથી રોડ-કનેક્ટિવિટી અને હેલ્થ-ફૅસિલિટી મળતી નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે ચોમાસા દરમ્યાન ગામ સંપૂર્ણપણે કટ-ઑફ થઈ જાય છે એટલે દરદીઓને ઘણી વાર ઉબડખાબડ પહાડી રસ્તાઓ પર ઝોળીમાં લઈ જવા પડે છે.
આ ઘટના બાદ ગ્રામજનો દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ઘણાં વર્ષોથી વારંવાર માગણીઓ કરવા છતાં ગ્રામસેવક, સરપંચ અથવા સંબંધિત વિભાગો દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. સ્થાનિક લોકો શું વધુ જીવ ગુમાવ્યા પછી જ અધિકારીઓ કાર્યવાહી કરશે એવો સવાલ કરી રહ્યા છે.