11 July, 2026 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કેતનના પપ્પા વિશાલ અગ્રવાલ
પુણેના બિઝનેસમૅન કેતન અગ્રવાલના પપ્પા વિશાલ અગ્રવાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક ઈ-મેઇલ લખીને કેસની ઝડપી તપાસ કરવાની અને ઝડપી ન્યાય અપાવવાની વિનંતી કરી છે. ઈ- મેઇલમાં કેસની વિગત જણાવીને તેમણે વિનંતી કરી હતી કે ‘આ કેસને માત્ર એક ફાઇલ સમજીને મૂકી ન રાખતાં. આ કેસમાં અમારો પરિવાર વિખેરાઈ ગયો છે. મેં પુત્ર અને પિતા બન્ને ગુમાવ્યા છે.’
વિશાલ અગ્રવાલે એ ઈ-મેઇલમાં લખ્યું હતું કે ‘હું આ ઈ-મેઇલ ખૂબ દુ:ખ સાથે લખી રહ્યો છું, એક ઉદ્યોગપતિ અથવા પ્રભાવશાળી વ્યક્તિ તરીકે નથી લખી રહ્યો. હું ફક્ત મારા પુત્ર માટે ન્યાય માગતો પિતા છું. કેતનને ગુમાવ્યાના માત્ર ૨૦ દિવસમાં મેં મારા પિતાને પણ ગુમાવ્યા. તેમને કેતન ખૂબ વહાલો હતો. તેઓ કેતનના મૃત્યુના આઘાત અને દુઃખને સહન કરી ન શક્યા. અમારો પરિવાર વિખેરાઈ ગયો છે. અમે કોઈ સ્પેશ્યલ ટ્રીટમેન્ટ નથી માગી રહ્યા. અમે ફક્ત એટલું જ ઇચ્છીએ છીએ કે આ કેસની સુનાવણી ફાસ્ટ-ટ્રૅક કોર્ટમાં થાય જેથી વહેલી તકે ન્યાય મળે. ન્યાયમાં વિલંબ ફક્ત અમારા જેવા પરિવારોનું દુઃખ વધારે છે. કૃપા કરીને મારા પુત્રના કેસને માત્ર એક ફાઇલ ન બનવા દો. આ કેસ પાછળ એક પરિવાર છે જેણે બધું ગુમાવ્યું છે.’