News In Shorts: ‘ઝરૂખો’માં શનિવારે ડૉ. નીલેશ રાણાની નવલકથાનું લોકાર્પણ

04 February, 2023 11:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચોથી ફેબ્રુઆરીએ સાંજે બોરીવલીમાં આયોજિત સાહિત્યિક સાંજ ‘ઝરૂખો’માં અમેરિકાસ્થિત નવલકથાકાર ડૉ. નીલેશ રાણાની ‘એક થીજેલી નદી’ નવલકથાના લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

નીલેશ રાણા

શ્રી સાંઈલીલા વેલ્ફેર ટ્રસ્ટ અને આપણું આંગણું બ્લૉગના સંયુક્ત ઉપક્રમે શનિવાર, ચોથી ફેબ્રુઆરીએ સાંજે બોરીવલીમાં આયોજિત સાહિત્યિક સાંજ ‘ઝરૂખો’માં અમેરિકાસ્થિત નવલકથાકાર ડૉ. નીલેશ રાણાની ‘એક થીજેલી નદી’ નવલકથાના લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવલકથાને ચિત્રલેખા અને બૃહદ ગુજરાતી સમાજ આયોજિત સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. વિમોચન નિમિત્તે આ નવલકથાના અંશ તથા ડૉ. નીલેશ રાણાની ચૂંટેલી વાર્તાઓનું પઠન સનત વ્યાસ, સેજલ પોન્દા અને પ્રિયમ જાની કરશે. સંકલન હિતેન આનંદપરા અને સંચાલન સંજય પંડ્યાનું છે. સમયઃ સાંજે ૭.૧૫ વાગ્યે, સ્થળઃ સાંઈબાબા મંદિર, સાંઈબાબા નગર, બોરીવલી-વેસ્ટ.

ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી દ્વારા આયોજિત નાટ્યસ્પર્ધાનો રવિવારથી ફાઇનલ રાઉન્ડ

ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી દ્વારા આયોજિત ‘શ્રુજન - એલ.એલ.ડી.સી’ ફુલ લેન્ગ્થ નાટકોની સમગ્ર મુંબઈ-ગુજરાતને આવરતી નાટ્યસ્પર્ધાનો ફાઇનલ રાઉન્ડ શરૂ થશે. સ્પર્ધાના આ ૧૫મા વર્ષમાં કુલ ૪૫ એન્ટ્રીઓમાંથી ગુજરાતનાં ચાર શહેરોમાં થયેલી સેમી-ફાઇનલમાં ભજવાયેલાં ૨૩ ચુંનદાં નાટકોમાંથી મુંબઈના ‘ભૂમિકા’ ઉપરાંત ધોળકાનું ‘આપણે નોખા પણ અનોખા’, નવસારીનું ‘સત્યમ શિવમ સુંદરમ’, ભાવનગરનું ‘આંસુડે આથમ્યો અષાઢ’, અમદાવાદનું ‘મન મગન હુવા’, વડોદરાનું ‘હાઉસફુલ’ ઉપરાંત સુરતના ‘ધ ડોલ’, ‘રીવા’, ‘મનુષ્ય નામે મહાભારત’, ‘દિગ્દર્શક’, ‘સાવ અમસ્તું નાટક નાટક’, શકરબાજ’ એમ કુલ ૧૨ નાટકો ફાઇનલ રાઉન્ડ માટે સિલેક્ટ થયાં છે. હવે ફાઇનલ રાઉન્ડમાં રવિવાર, પાંચમી ફેબ્રુઆરીથી ગુરુવાર, ૧૬ ફેબ્રુઆરી દરમ્યાન રોજ એક-એક નાટક ભવન-ચોપાટીના ઑડિટોરિયમમાં ભજવાશે. વધુ વિગતો માટે ભવન્સ-ચોપાટીના બુકિંગ કાઉન્ટર પર શ્રવણકુમારનો ૯૯૩૦૬ ૫૨૦૯૪ નંબર પર સંપર્ક કરવો. 

કાંદિવલીમાં આજે બજેટ વિશે પ્રવચન

કાંદિવલી-વેસ્ટમાં શાંતિલાલ મોદી રોડ આવેલી કાંદિવલી રેક્રીએશન ક્લબના સાતમા માળે આવેલા બૅન્ક્વેટ હૉલમાં આજે સાંજે ૬થી ૮ વાગ્યા દરમ્યાન બજેટ વિશે ત્રણ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં સીએ જનક બથિયા ડાયરેક્ટ ટૅક્સ પર, સીએ એસ. એસ. ગુપ્તા ઇનડાયરેક્ટ ટૅક્સ પર અને જયેશ ચિતલિયા કૅપિટલ માર્કેટ પર પ્રવચન આપશે. જાહેર જનતાને આમંત્રણ છે. વધુ માહિતી માટે કાંદિવલી રેક્રીએશન ક્લબની ઑફિસનો સંપર્ક કરવો.

mumbai news borivali kandivli