16 December, 2023 08:15 AM IST | Mumbai | Priti Khuman Thakur
મરાઠીમાં બોર્ડ ન હોવા બદલ મુંબઈમાં એક દુકાનદારને મંગળવારે ફાઇન કરી રહેલા બીએમસીના ઑફિસરો.
મુંબઈ : મુંબઈની દુકાનો પરનાં બોર્ડ મરાઠીમાં છે કે કેમ એ વિશેની કાર્યવાહી મહાનગરપાલિકા પુરજોશમાં કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે. બોર્ડ સંદર્ભે સરકારના નિર્ણય સામે અપીલ કર્યા બાદ હાઈ કોર્ટે અને સુપ્રીમ કોર્ટે દુકાનો અને સંસ્થાઓનાં બોર્ડ મરાઠીમાં મોટા અક્ષરોમાં લગાવવાના નિર્ણયને યથાવત્ રાખ્યો હતો અને બે મહિનાની સમયમર્યાદા આપી હતી. આ મુદત ૨૫ નવેમ્બરે પૂરી થઈ ગઈ હોવાથી ૨૮ નવેમ્બરથી બીએમસીએ આવી દુકાનો સામે કાર્યવાહી હાથ ધરી હતી. બીએમસી દ્વારા વિવિધ વૉર્ડ પ્રમાણે ટીમ બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બીએમસીએ ૨૮ નવેમ્બરથી ગઈ કાલ સુધીમાં ૪૨,૭૭૫ દુકાનોની મુલાકાત લીધી હતી. આગામી દિવસોમાં બીએમસી દ્વારા આ જ રીતે કાર્યવાહી કરવામાં આવશે એવી માહિતી મળી છે.
મરાઠીમાં બોર્ડ વિશે બીએમસીના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ટૅક્સ) સંજય કાબરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીએમસી મરાઠીમાં બોર્ડ ન હોય એમની વિરુદ્ધ વિવિધ વૉર્ડમાં ટીમ બનાવીને કાર્યવાહી કરી રહી છે. એ પ્રમાણે ૨૮ નવેમ્બરથી ૧૫ ડિસેમ્બર સુધીમાં ‘એ’થી ‘ટી’ વૉર્ડની ટીમે ૪૨,૭૭૫ દુકાનોની મુલાકાત લીધી હતી. એમાંથી ૪૦,૮૪૩ દુકાનો પર મરાઠીમાં બોર્ડ હતાં, જ્યારે ૧૯૩૨ દુકાનો પર મરાઠીમાં બોર્ડ ન હોવાથી એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. મોટા ભાગની દુકાનોમાં મરાઠીમાં બોર્ડ લાગ્યાં છે. આગામી દિવસોમાં કાર્યવાહીનો સામનો કરવો ન હોય તો દુકાનદારોએ બોર્ડ બદલીને મરાઠીમાં કરી લેવાં જોઈએ.’