News In Shorts: મુંબઈમાં દોઢ દિવસના ગણપતિની કુલ ૬૧,૬૦૦ મૂર્તિઓનું વિસર્જન

17 September, 2026 07:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગણેશપ્રતિમાઓ ઉપરાંત ૯૨ હરતાલિકાની મૂર્તિઓનું પણ વિસર્જન કરવામાં આવ્યું હતું જેનાથી કુલ આંકડો ૬૧,૬૪૦ પર પહોંચ્યો હતો.

તસવીર : આશિષ રાજે

મુંબઈમાં દોઢ દિવસના ઉત્સવ બાદ ગણેશજીની ૬૧,૬૦૦થી વધુ મૂર્તિઓનું વિવિધ જળાશયો અને કૃત્રિમ જળાશયોમાં વિસર્જન કરવામાં આવ્યું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓએ બુધવારે સવારે આ સત્તાવાર આંકડા જાહેર કર્યા હતા. બુધવારે સવારે ૬ વાગ્યા સુધીમાં કુલ ૬૧,૬૪૦ મૂર્તિઓનું વિસર્જન નોંધાયું હતું. વિસર્જિત થયેલી પ્રતિમાઓમાં સૌથી વધુ ૬૧,૨૪૭ જેટલી ઘરમાં લાવેલી ગણેશમૂર્તિઓ અને ૩૦૧ સાર્વજનિક ગણેશમંડળોની મૂર્તિઓનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમ્યાન ગણેશપ્રતિમાઓ ઉપરાંત ૯૨ હરતાલિકાની મૂર્તિઓનું પણ વિસર્જન કરવામાં આવ્યું હતું જેનાથી કુલ આંકડો ૬૧,૬૪૦ પર પહોંચ્યો હતો.

BJPના અધ્યક્ષ નીતિન નબીને મુંબઈમાં કર્યાં ગણાધ્યક્ષનાં દર્શન

ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગણેશોત્સવની ઉજવણી માટે બુધવારે મુંબઈ પહોંચ્યા ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમનું સ્વાગત કર્યું હતું. નીતિન નબીને મુંબઈમાં સૌથી લોકપ્રિય એવા લાલબાગચા રાજાનાં દર્શન કરી તેમના આશીર્વાદ લીધા હતા. દર્શન બાદ નીતિન નબીને કહ્યું હતું કે તેમને લાલબાગચા રાજાનાં દર્શન કરવાનો મોકો મળ્યો એ તેમના માટે મોટા સૌભાગ્યની વાત છે. નીતિન નબીને મુંબઈ મુલાકાત દરમ્યાન સિદ્ધિવિનાયક ગણપતિબાપ્પાનાં પણ દર્શન કર્યાં હતાં. મુખ્ય પ્રધાન દેવન્દ્ર ફડણવીસના નિવાસસ્થાન વર્ષાની મુલાકાત લઈને ત્યાં પણ તેમણે બાપ્પાનાં દર્શન કર્યાં હતાં. મુખ્ય પ્રધાને તેમને ગણપતિની મૂર્તિ ભેટમાં આપી હતી. આ ઉપરાંત નીતિન નબીને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને સુનેત્રા પવારના ઘરની પણ મુલાકાત લીધી હતી.

mumbai news mumbai ganesh chaturthi brihanmumbai municipal corporation visarjan devendra fadnavis maharashtra