12 September, 2025 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC)એ ગેરકાયદે ઇમારતો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. એમાં કુલ ૪૯,૧૫૫ ચોરસફુટ વિસ્તારમાંથી અતિ જોખમી ગણાતી અને ગેરકાયદે રીતે ઊભી કરાયેલી ઇમારતો હટાવવામાં આવી છે.
વિરારનું રમાબાઈ બિલ્ડિંગ ગેરકાયદે ઊભું કરવામાં આવ્યું હતું તેમ જ એમાં સમારકામની નોટિસને પણ બિલ્ડર દ્વારા અવગણવામાં આવી હતી જેને લીધે ૧૭ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટના બાદ પ્રશાસનની આંખ ખૂલી હતી અને ગણેશોત્સવ પતે પછી સોમવારથી ગેરકાયદે બિલ્ડિંગો સામે કાર્યવાહી શરૂ કરવાનો VVMCએ નિર્ણય લીધો હતો.
અનેક ચાલ અને કમર્શિયલ બિલ્ડિંગ સહિત અતિ જોખમી હાલતમાં હોય એવાં અથવા ગેરકાયદે ઊભાં કરાયેલાં અનેક બિલ્ડિંગો તોડી પાડવામાં આવ્યાં છે. અમુક બિલ્ડિંગો ખાલી કરવાની નોટિસ રહેવાસીઓને મોકલવામાં આવી છે. આ રીતે અત્યાર સુધીમાં ૪૯,૧૧૫ ચોરસફુટ જમીન પરથી ગેરકાયદે ઇમારતો હટાવવામાં આવી છે.