27 February, 2026 08:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અતિક્રમણ દૂર થયા પછી ઇર્લાના રસ્તાઓની ચોખ્ખાઈ સ્પષ્ટ દેખાઈ આવતી હતી.
બૉલીવુડનાં ઍક્ટ્રેસ અને સંસદસભ્ય હેમા માલિનીને વિલે પાર્લેના ઇર્લા વિસ્તારમાં અતિક્રમણમુક્ત રસ્તાઓ જોઈને એટલું બધું સુખદ આશ્ચર્ય થયું હતું કે તેમણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને તેમનો અનુભવ વર્ણવ્યો હતો. હેમા માલિનીએ ગઈ કાલે લખ્યું હતું કે ‘સામાન્ય રીતે ભીડભાડવાળા ઇર્લાના રસ્તા પરથી આજે પસાર થતાં આંખો ચોળીને ખાતરી કરવી પડી કે આ એ જ રસ્તો છે? ડ્રાઇવરને પણ મેં પૂછ્યું કે આપણે બીજા રસ્તે આવી ગયા છીએ કે શું? રસ્તાઓ અને ફુટપાથો પરથી અતિક્રમણ હટાવી લેવાતાં દુકાનો પણ સારી રીતે દેખાતી હતી. લોકો ખુશ થઈને આરામથી ફુટપાથ પરથી ચાલીને પોતાના કામ પર જઈ રહ્યા હતા.’
હેમા માલિનીએ આ પરિવર્તનનું શ્રેય અંધેરી-વેસ્ટના ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય અમીત સાટમને આપ્યું હતું અને અતિક્રમણ વિરોધી ઝુંબેશ ચાલુ રહે એવી આશા વ્યક્ત કરી હતી.