18 February, 2026 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હર્ષવર્ધન સપકાળ
માલેગાવનાં ડેપ્યુટી મેયર નિહાલ અહમદની ઑફિસમાં ટીપુ સુલતાનનો ફોટો લગાડવામાં આવતાં વકરેલા વિવાદમાં કૉન્ગ્રેસના મહારાષ્ટ્રના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે કહ્યું હતું કે ટીપુ સુલતાન પણ છત્રપતિ શિવાજી મહારાજ જેવો જ બહાદુર યોદ્ધો હતો, જે રીતે શિવાજી મહારાજ આક્રમણકારો સામે લડ્યા એ જ રીતે તે પણ અંગ્રેજો સામે લડ્યો હતો. તેમના એ નિવેદનને લઈને હોબાળો મચી ગયો હતો. શિવસેના અને અન્ય પક્ષોએ તેમની ઝાટકણી કાઢી હતી અને જોરદાર વિરોધ કર્યો હતો. આખરે વધતો વિરોધ જોઈ ગઈ કાલે હર્ષવર્ધન સપકાળે ફેસબુક પર જાહેરમાં માફી માગી લીધી હતી.
હર્ષવર્ધન સપકાળે ફેસબુક પરની એ પોસ્ટમાં લખ્યું હતું કે ‘ભારતીય જનતા પાર્ટીએ આકરા શબ્દોમાં વિરોધ કર્યો અને તેમના ગંદા અને તોફાની વલણને કારણે કેટલાક શિવપ્રેમીઓની ભાવનાઓને ઠેસ પહોંચી એથી હું તેમની માફી માગું છું. હું મારા શબ્દોનો ગેરવપરાશ કરવા બદલ શિવપ્રેમી પ્રત્યે દિલગીરી વ્યક્ત કરું છું. કોઈની પણ ભાવનાને ઠેસ પહોંચાડવાનો મારો ઇરાદો નહોતો.’