25 March, 2026 08:54 PM IST | Kolhapur | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતમાં ઉર્જા સંકટ સર્જાયું છે. ઘરેલુ રાંધણ ગૅસના ભાવમાં વધારો થયો છે, અને ગ્રાહકો LPG સિલેન્ડર બુક કરાવ્યા છતાં, તેમને સમયસર મળતા નથી. દેશભરમાં કાળાબજારની ઘટનાઓ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં પણ ગૅસ સિલિન્ડરના પુરવઠા અંગે કાળાબજારના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ સાથે જ, અનેક અફવાઓ શરૂ થઈ છે, જેમાં ગૅસ સિલિન્ડરની ઉપલબ્ધતા અંગે વિવિધ વિરોધાભાસી દાવાઓ કરવામાં આવી રહ્યા છે. વધુમાં, ઘણા વિસ્તારોમાં અફવાઓ ફેલાઈ રહી છે કે પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો પણ ખોરવાઈ જવાનો છે. પરિણામે, કોલ્હાપુર જેવા જિલ્લાઓમાં, ચોક્કસ સ્થળોએ પેટ્રોલના વેચાણમાં 30 ટકાનો વધારો થયો છે. આ પરિસ્થિતિ વચ્ચે, સ્થાનિક પ્રશાસને હવે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. નવા નિયમ મુજબ ટુ-વ્હીલર માટે ફક્ત રૂ. 200 સુધીનું મર્યાદિત પેટ્રોલ જ મળી શકશે એવો સત્તાવાર સરકારી આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
કોલ્હાપુર જિલ્લા પ્રશાસન દ્વારા આ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, પ્રશાસને જિલ્લાભરના પેટ્રોલ પંપો પર ભીડ અને કતારોને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું હતું. પ્રશાસને ટુ-વ્હીલર માટે રૂ. 200 ની કિંમતના પેટ્રોલની વેચાણ મર્યાદા નક્કી કરી છે, જ્યારે થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર માટે રૂ. 2,000 ની કિંમતના ઇંધણની મર્યાદા છે. છેલ્લા બે દિવસમાં, પેટ્રોલ અને ડીઝલ બન્નેના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે; તેથી પુરવઠા શૃંખલામાં સંતુલન પુનઃસ્થાપિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા પ્રશાસને પેટ્રોલ પંપ સંચાલકોને તાત્કાલિક અસરથી આ આદેશનો અમલ કરવા સૂચના આપી છે.
હાલની ઇંધણની અછત હોવાના કેટલાક સમાચારને લીધે કોલ્હાપુર જિલ્લામાં એક અફવા ફેલાઈ ગઈ કે પેટ્રોલનો પુરવઠો સમાપ્ત થવાનો છે. આના કારણે કોલ્હાપુરના પેટ્રોલ પંપો પર વાહનોનો ભારે ધસારો થયો, જેના પરિણામે પેટ્રોલ અને ડીઝલ બન્નેના વેચાણમાં અચાનક અને ભારે વધારો થયો. દૈનિક સરેરાશની તુલનામાં વેચાણનું પ્રમાણ 30 ટકા વધ્યું છે. પરિણામે, કોલ્હાપુરમાં પેટ્રોલની અછતને કારણે, શહેર અને તેના ઉપનગરોમાં પેટ્રોલ પંપ બંધ કરવા પડ્યા હતા. જેના પરિણામે ઇંધણ વિતરણમાં નોંધપાત્ર અસંતુલન સર્જાયું છે. આવી અરાજકતા ફરી ન થાય તેની ખાતરી કરવા માટે, કોલ્હાપુર જિલ્લા પ્રશાસને ઉપરોક્ત નિર્ણય લીધો છે. જોકે, આ નિર્ણય ફક્ત કોલ્હાપુર જિલ્લા પૂરતો મર્યાદિત છે અને મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓને લાગુ પડશે નહીં.
સરકારે રસોઈ ગૅસનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ઘણા પગલાં લીધાં છે, જેમાં વાણિજ્યિક ગેસ કરતાં રસોઈ ગેસને પ્રાથમિકતા આપવી, તેલ કંપનીઓને LPG ઉત્પાદન વધારવાનો આદેશ આપવો અને અન્ય વિવિધ સ્ત્રોતો દ્વારા ગેસ આયાત કરવાનો સમાવેશ થાય છે.