24 March, 2022 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિઠ્ઠલ નિવાસ બિલ્ડિંગના ત્રીજા માળે લાગેલી આગમાં ફસાયેલા લોકોને સીડીની મદદથી બચાવી રહેલી ફાયર બ્રિગેડ (તસવીર : બિપિન કોકાટે)
ભાયખલામાં સાત રસ્તા પર આવેલા ચાર માળના વિઠ્ઠલ નિવાસ બિલ્ડિંગના ત્રીજા માળે આવેલા એક ફ્લૅટમાં ગઈ કાલે બપોરે ૧૨.૧૫ વગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યાની જાણ થતાં તરત જ ફાયર બ્રિગેડનાં ત્રણ ફાયર એન્જિન અને ત્રણ જમ્બો ટૅન્કર ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. આગનો વ્યાપ જોતાં લેવલ બેની આગ ફાયર બ્રિગેડે જાહેર કરી હતી. સદ્ભાગ્યે આગમાં કોઈ ઘાયલ થવાના કે કોઈ જાનહાનિના અહેવાલ નથી. પોણા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. સાવચેતી ખાતર ફાયર બ્રિગેડે આખું મકાન ખાલી કરાવી દીધું હતું. રોડને અડીને જ આવેલી આ ઇમારત હોવાથી ઘણા રાહદારીઓ આગ જોવા ઊભા રહી જતા હતા એટલે સ્થાનિક પોલીસે ત્યાં પહોંચી તેમને હટાવ્યા હતા. આગમાં ફસાયેલી એક ફૅમિલીને બહાર નીકાળવા માટે સીડીનો ઉપયોગ કરવો પડ્યો હતો.