જેડી મજીઠિયાના પપ્પા નાગરદાસ મજીઠિયાનો દેહાંત

26 December, 2023 08:32 AM IST  |  Mumbai | Rashmin Shah

જીવનના ૯ દસકા જોયા પછી નાગરદાસભાઈ મજીઠિયાએ ગઈ કાલે સવારે અંતિમ શ્વાસ લીધા

જેડી મજીઠિયા અને તેમના પિતાશ્રી નાગરદાસ મજીઠિયા

‘સારાભાઈ વર્સસ સારાભાઈ’, ‘ખિચડી’, ‘ઇન્સ્ટન્ટ ખિચડી’, ‘બા, બહૂ ઔર બેબી’, ‘વાગલે કી દુનિયા’, ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ જેવી અનેક સુપરહિટ ટીવી-સિરિયલ, ‘હૅપી ફૅમિલી: કન્ડિશન્સ અપ્લાય’ જેવી વેબ-સિરીઝ અને ‘ખિચડી: ધ મૂવી’ તથા ‘ખિચડી-૨ઃ મિશન પાંથુકિસ્તાન’ જેવી ફિલ્મના પ્રોડ્યુસર, ઍક્ટર અને ડિરેક્ટર જેડી મજીઠિયાના પિતાશ્રી નાગરદાસ મજીઠિયાનો ગઈ કાલે સવારે દેહાંત થયો હતો. જીવનના ૯ દસકા જોઈ ચૂકેલા નાગરદાસભાઈને છેલ્લા થોડા સમયથી ઉંમરગ્રસ્ત તકલીફો હતી. સંતાનો પગભર થયા પછી તેઓ તેમનાં વાઇફ શાંતાબહેન સાથે ધર્મધ્યાનાર્થે મથુરા સ્થાયી થયા હતા અને વારતહેવારે મુંબઈ આવતા.

જેઠી મજીઠિયા પોતાની ‘મિડ-ડે’ની કૉલમમાં અનેક વખત બાપુજી વિશે લખતા અને તેમના સ્વભાવથી માંડીને પ્રામાણિકતા, નિષ્ઠાવાન સ્વભાવ વિશે ‘મિડ-ડે’ના વાચકોને પરિચિત કરાવતા રહેતા. જેડીભાઈને બાપુજી માટે જબરદસ્ત લગાવ હતો. તેમની વાતો કરતાં તેઓ ઉત્સાહમાં આવી જાય તો બાપુજીએ કરેલા સંઘર્ષની વાતો કરતાં તેમની આંખો હજી પણ ભીની થઈ જતી. જેડીભાઈ કહેતા કે ‘તેમના સ્વભાવમાં દૂર-દૂર સુધી તમને ક્યારેય સ્વાર્થ જોવા ન મળે. તેઓ ક્યારેય પોતાની તકલીફો પણ વર્ણવે નહીં અને તેમને પડતી મુશ્કેલી માટે પણ તેઓ ક્યારેય ફરિયાદ ન કરે. આપણે કોઈ માટે એવું બોલતા હોઈએ કે એ તો ભગવાનના ઘરના માણસ છે. આ વાત તેમને અક્ષરશઃ લાગુ પડે અને એટલે જ હું કહી શકું કે મેં ભગવાનના ઘરના માણસને સાવ નજીકથી જોયા છે અને તેમની પાસેથી મને સંસ્કાર મળ્યા છે.’

નાગરદાસ મજીઠિયાના અંતિમ સંસ્કાર ગઈ કાલે સાંજે ૪.૩૦ વાગ્યે કાંદિવલીના દહાણુકરવાડી સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા.

mumbai news JD Majethia dhollywood news mumbai celebrity death