16 September, 2026 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પરેલચા મહારાજા
ગણેશોત્સવ દરમ્યાન પરેલચા મહારાજા મંડળ દ્વારા આયોજિત પાંચ દિવસીય સામુદાયિક મહાપ્રસાદ માટે મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ અૅડ્મિનિસ્ટ્રેશન (FDA) તરફથી વિધિવત્ મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી મળતાં આ મંડળ ૧૯થી ૨૩ સપ્ટેમ્બર દરમ્યાન આશરે ૨૦,૦૦૦ શ્રદ્ધાળુઓને મહાપ્રસાદ પીરસશે.
મંડળના પ્રમુખ સુજિત ચવાણના જણાવ્યા અનુસાર ૧૧ સપ્ટેમ્બરે FDA તરફથી આ કાર્યક્રમ માટે પરવાનગી આપવામાં આવી હતી. દરરોજ રાત્રે આશરે ૮ વાગ્યાથી પરોઢિયે ૪ વાગ્યા સુધી મહાપ્રસાદ પીરસવામાં આવશે.
પાંચ દિવસના આ મહાપ્રસાદની તૈયારી માટે ખાસ ગુજરાતથી રસોઈયાઓને બોલાવવામાં આવ્યા છે. ભગવાનને ધરાવાતો ભોગ અને ભક્તો માટેનો પ્રસાદ લસણ, ડુંગળી અને આદું વગર સંપૂર્ણપણે સાત્ત્વિક રીતે તૈયાર કરવામાં આવશે.
આ પાંચ દિવસ દરમ્યાન રોજિંદા મેનુમાં વૈવિધ્ય રાખવામાં આવશે. એમાં રોટલી સાથે લાડુ, ગુલાબજાંબુ, રસગુલ્લા અને જલેબી જેવી પરંપરાગત મીઠાઈઓ પીરસાશે. આ ઉપરાંત ફરસાણમાં સમોસા, અળવીનાં વડાં-આલુ વડી અને ઢોકળાંનો સમાવેશ કરવામાં આવ્યો છે.
લાલબાગ અને પરેલ વિસ્તારમાં ગણપતિબાપ્પાનાં દર્શને આવતા ભક્તોમાંથી પ્રતિદિન અંદાજે ૩૦૦૦ લોકો આ મહાપ્રસાદનો લાભ લેશે. સમગ્ર આયોજન દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાનું પણ ચુસ્ત પાલન કરવામાં આવશે.