સરકાર સુધી અવાજ પહોંચાડવા નાસિકથી પગપાળા મુંબઈ આવી રહ્યા છે પાંચ હજાર ખેડૂતો

15 March, 2023 09:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વાસ્તવમાં, લગભગ 5,000 ખેડૂતોએ વિવિધ માગણીઓ સાથે ઉત્તર મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી મંગળવારે આ માર્ચ શરૂ કરી હતી

તસવીર સૌજન્ય: પીટીઆઈ

મહારાષ્ટ્ર (Maharashtra)માં ફરી એકવાર ખેડૂતોએ સરકાર સામે મોરચો ખોલ્યો છે. હજારો ખેડૂતો મુંબઈ જવા માટે પગપાળા કૂચ (Farmers Marching Towards Mumbai) કરી રહ્યા છે. દરમિયાન, સરકારે રાજ્યના પ્રધાનો દાદા ભુસે (Dada Bhuse) અને અતુલ સાવે (Atul Save)ને ખેડૂતો સાથે વાત કરવા અને તેમની સમસ્યાઓ સાંભળવાની જવાબદારી સોંપી છે. બંને પ્રધાનો ખેડૂતોને મળશે અને તેમની સમસ્યાઓ અંગે ચર્ચા કરશે.

વાસ્તવમાં, લગભગ 5,000 ખેડૂતોએ વિવિધ માગણીઓ સાથે ઉત્તર મહારાષ્ટ્રના નાસિક (Nashik) જિલ્લામાંથી મંગળવારે આ માર્ચ શરૂ કરી હતી. આમાંના મોટાભાગના ખેડૂતો આદિવાસી પટ્ટાના છે જેઓ જંગલ જમીનના અધિકારો અને અન્ય ખેડૂત સંબંધિત મુદ્દાઓ પર રાહતની માગ કરી રહ્યા છે.

આ માગણીઓમાં ડુંગળી ઉત્પાદકોને ક્વિન્ટલ દીઠ 600 રૂપિયાની તાત્કાલિક નાણાકીય રાહત, 12 કલાક માટે અવિરત વીજ પુરવઠો અને કૃષિ લોન માફી વગેરે સામેલ છે. નાસિક જિલ્લાના ડિંડોરીથી શરૂ થયેલી આ કૂચ મુંબઈ સુધી લગભગ 203 કિમીનું અંતર કાપશે. ખેડૂતોની કૂચ શુક્રવારે રાત સુધીમાં મુંબઈ પહોંચશે.

આ પહેલીવાર નથી જ્યારે ખેડૂતો તેમની સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન દોરવા મુંબઈ તરફ કૂચ કરી રહ્યા છે. પાંચ વર્ષ પહેલાં પણ તેમણે આવી જ એક માર્ચ કરી હતી. ત્યારે સરકારે કહ્યું હતું કે તેમની માગણીઓ પૂરી કરવામાં આવશે, પરંતુ સરકારે અત્યાર સુધી અમુક માગણીઓ જ સ્વીકારી છે. હવે આ બાબતે ખેડૂતો ફરી આંદોલન કરી રહ્યા છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્ર સરકારે સોમવારે ડુંગળીના ભાવમાં તીવ્ર ઘટાડાથી પ્રભાવિત એવા કાંદાના ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂા. 300 એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ વિધાનસભામાં આની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આનાથી ડુંગળી ઉત્પાદકોને રાહત મળશે. જો કે ખેડૂતો આ જાહેરાતથી નાખુશ દેખાઈ રહ્યા છે.

વિરોધ અંગે કડક કાયદો અને વ્યવસ્થા

ડીસીપી કિરણ કુમાર ચવ્હાણે કહ્યું કે વિરોધના માપદંડને ધ્યાનમાં રાખીને, અમે કટોકટીની સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતા પોલીસકર્મીઓને તહેનાત કર્યા છે. નાસિકથી મુંબઈ સુધીની પદયાત્રા હોવાથી, અમે ટ્રાફિકને નિયંત્રિત કરવા અને રસ્તાઓ પર કોઈપણ અસુવિધા માટે બે લાઈનમાં દળોને તહેનાત કર્યા છે.

આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેને વધુ એક ફટકો: હવે આ નજીકના નેતા જોડાયા શિંદે જૂથમાં

13 માર્ચે દિલ્હીમાં ખેડૂતોનો વિરોધ

ભૂતકાળમાં, પંજાબમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો, જેઓ રાજધાની દિલ્હી પહોંચ્યા હતા, તેમણે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે મોરચો ખોલ્યો હતો. પંજાબના ખેડૂતોના સંગઠને 13 માર્ચે દિલ્હીના જંતર-મંતર પર તેમની માગણીઓ માટે કેન્દ્ર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનમાં 5 ખેડૂત સંગઠનો સામેલ થયા હતા.

mumbai mumbai news nashik