13 April, 2026 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બે તબક્કા મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (MUTP-II) હેઠળ હાથ ધરાયેલા આ ૧૭.૫ કિલોમીટર લાંબા કૉરિડોરને બે તબક્કામાં વહેંચવામાં આવ્યો છે. એમાં પ્રથમ તબક્કો કુર્લાથી પરેલ (૧૦.૧ કિલોમીટર) અને બીજો તબક્કો પરેલથી CSMT (૭.૪ કિલોમીટર) વચ્ચેનો છે.
સેન્ટ્રલ રેલવેના કુર્લા અને પરેલ વચ્ચે પાંચમી અને છઠ્ઠી રેલવેલાઇન બનાવવાનો માર્ગ ૧૭ વર્ષ બાદ આખરે મોકળો થયો છે. ૨૦૦૯માં મંજૂર થયેલા આ પ્રોજેક્ટમાં ધારાવી, ચૂનાભઠ્ઠી અને કુર્લામાં આવેલી મિલની જમીન પરનાં અતિક્રમણો સૌથી મોટો અવરોધ હતો જે હવે દૂર થવાની તૈયારીમાં છે. આ ગતિવિધિથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી કુર્લા વચ્ચેના રેલવે-વિસ્તરણને નવો વેગ મળશે.
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા આ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત થનારા ૭૧૭ પરિવારોના રીહૅબિલિટેશનની પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવી છે. એમાંથી ૬૮૬ પરિવારોને ઘર ફાળવી દેવાયાં છે. આ પ્રક્રિયા પૂરી થતાં જ રેલવેલાઇન માટે ખાલી થયેલી જમીન પર ટ્રૅકનું કામ શરૂ કરી દેવામાં આવશે.
રેલવે-પ્રશાસન હવે ગેરકાયદે બાંધકામો તોડી પાડવા માટે સજ્જ છે, જેના માટે જરૂરી મશીનરી અને કર્મચારીઓ તહેનાત કરી દેવાયાં છે. એક મહિનામાં ડિમોલિશનની તમામ કામગીરી પૂરી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.