13 April, 2026 10:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે
શિવસેના (UBT)ના સંસદસભ્યોને ફોડીને એકનાથ શિંદે ઑપરેશન ટાઇગર કરવાના સમાચારે છેલ્લા થોડા દિવસોથી રાજકીય વાતાવરણમાં ગરમાટો લાવી દીધો હતો. જોકે બન્ને પક્ષ તરફથી એ માટે બેઠક કરવામાં આવી હોવાની વાતને રદિયો આપી દેવાયો હતો. જોકે ગઈ કાલે એ જ વાતનો તંતુ સાધીને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ શિવસેના (UBT)નું નામ લીધા વગર એના પર જોરદાર શાબ્દિક ફટકાબાજી કરી હતી. એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘મેં એક જ વાર ઑપરેશન કર્યું હતું અને લોકોને એ બરાબર યાદ છે. અમારો જનસેવાનો એજન્ડા છે અને એથી લોકો મારી પાસે આવે છે. હવે ઑપરેશન નહીં, સાદી ટૅબ્લેટ પર જ લોકો મારી સાથે જોડાઈ રહ્યા છે.’
પંઢરપુરમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-SP)ના ભગીરથ ભાલકે અને અનિલ સાવંતે શિવસેનામાં પ્રવેશ કર્યો હતો એ પ્રસંગે એકનાથ શિંદેએ આ તક ઝડપી લીધી હતી.