ડોમ્બિવલીમાં પાંચ બિલ્ડિંગના ૨૫૦ પરિવારોનાં ઘર ખાલી કરાવાયાં

06 March, 2023 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૂઝ સ્લૅબ અને થાંભલા પરની તિરાડો શનિવારે રાત્રે ૧૧ વાગ્યે નજરે પડી હતી

૨૫૦ પરિવારોનાં ઘર ખાલી કરાવાયાં

ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે ડોમ્બિવલીમાં પાંચ બિલ્ડિંગ ધરાવતું રહેણાક સંકુલ એના કેટલાક સ્લૅબ છૂટા પડવાના તથા થાંભલામાં તિરાડ પડવાના કારણે સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યું હતું.

લૂઝ સ્લૅબ અને થાંભલા પરની તિરાડો શનિવારે રાત્રે ૧૧ વાગ્યે નજરે પડી હતી. બાદમાં ફાયર બ્રિગેડ, પોલીસ અને નાગરિકો નિલજેમાં આવેલી જગ્યાએ પહોંચ્યા હતા અને આશરે ૨૫૦ પરિવારનાં રહેઠાણ ખાલી કરાવ્યાં હતાં.

સબ-ફાયર ઑફિસર નામદેવ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘આ બિલ્ડિંગ ૧૯૯૮માં બનેલું છે. એ કલ્યાણ-ડોમ્બિવલી નગર નિગમ દ્વારા બનાવાયેલી જોખમી ઇમારતોની યાદીમાં નથી. માળખાકીય તપાસ કર્યા બાદ વૉર્ડ ઑફિસર એના ભવિષ્ય અંગે નિર્ણય લેશે. કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી અને ખાલી કરાયેલા રહેવાસીઓ પોતે વૈકલ્પિક જગ્યા શોધી રહ્યા છે.’

mumbai mumbai news dombivli